મુંબઈમાં વહેલી સવારે એક બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગી. બાંધકામ ચાલી રહેલી આ બહુમાળી ઈમારતમાં આકસ્મિક રીતે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આ બિલ્ડીંગ આવેલી છે.
આગની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ પોતાના પાંચ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યુ નથી. પણ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
મુંબઇમાં આગ લાગવાની ઘટનામાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. આ પહેલા ગુરૂવારે સાંજે શહેરના ચેંબૂર વિસ્તારમાં આવેલ ગણેશ ગાર્ડન ખાતે સરગમ સોસાયટીમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આગ સોસાયટીના 14માં માળે લાગી હતી. જેમાં આશરે 7 લોકોના મોત પણ નિપજ્યા હતા.
તો ગત વર્ષના ડિસેમ્બર માસમાં કમલા મિલ્સમાં સ્થિત મોજોસ બિસ્ત્રો અને વન-અબવ પબમાં પણ ભયંકર આગ ફાટી નીકળવાની ઘટના બની હતી જેમાં લગભગ 14 લોકોના મોત નિપજ્યા હતા. જો કે આ મામલાની ગંભીર રીતે તપાસ કરવામાં આવી ત્યારે પબમાં અગ્નિ સુરક્ષા સંબંધિક કોઇપણ પ્રકારની વ્યવસ્થા જોવા મળી નહોતી. તો આ સાથે જ બંન્ને પબમાં ફાયર ઓડિટ વગર મંજૂરી મળવાની વાત પણ સામે આવી હતી.
6 વર્ષમાં 29 140 આગની ઘટના
આપને જણાવી દઇએ કે RTIમાં મળેલી જાણકારી અનુસાર છેલ્લા 6 વર્ષમાં આગની 29 140 ઘટનાઓ બની હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેમાં મરવાવાળાની સંખ્યા લગભગ 300 જેટલી થવા પામી હતી.
મહારાષ્ટ્ર અગ્નિ પ્રતિબંધક અને જીવરક્ષક ઉપાય યોજના અધિનિયમ 2006 અંતર્ગત નિયમોનું પાલન કરાવવાની જવાબદારી મુંબઇ ફાયર બ્રિગેડની છે. પરંતુ છેલ્લા 6 વર્ષથી આ ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે સ્પષ્ટ થાય છે કે નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી.