જો તમે પણ ફિક્સ ડિપોઝીટમાં પૈસા નાખો છો તો આ તમારા માટે કામની વાત છે. હવે તમારે એફડી કરાવતા પહેલાં થોડુ સમજદારીપૂર્વક કામ કરવુ પડશે. ખરેખર, ભારતીય રિઝર્વ બેંકે FDના નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમને આ નિયમની ખબર નથી તો તમારે નુકસાન ભોગવવુ પડશે.
RBIએ ફિક્સ ડિપોઝીટના નિયમમાં કર્યો ફેરફાર
ફિક્સ ડિપોઝીટની રકમ પર વ્યાજ ઓછું મળશે
બચત ખાતાના એકાઉન્ટ પર મળતા વ્યાજની તુલનાએ હશે
ફિક્સ ડિપોઝીટના નિયમમાં કર્યો ફેરફાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ ડિપોઝીટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે કે હવે ફિક્સ ડિપોઝીટની મુદ્દત પૂર્ણ થયા બાદ જો તમે રકમ પર ક્લેમ નહીં કરો તો તમને તેના પર ઓછું વ્યાજ મળશે. આ વ્યાજ બચત ખાતાના એકાઉન્ટ પર મળતા વ્યાજની સરખામણીએ હશે. અત્યારે સામાન્ય રીતે બેંકો 5 થી 10 વર્ષની લાંબી મુદ્દતવાળા FD પર 5 ટકાથી વધુ વ્યાજ આપે છે. જ્યારે બચત ખાતા પરનો વ્યાજ દર 3 ટકાથી 4 ટકાની આસપાસ હોય છે.
RBIએ જાહેર કર્યો આ આદેશ
RBI તરફથી જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, જો ફિક્સ ડિપોઝીટ પાકી જાય છે અને રકમ પાછી લેવી નથી અથવા તેના પર દાવો કરતા નથી તો આ ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દર બચત ખાતાની તુલનાએ અથવા પાકતી FD પર નક્કી કરેલા વ્યાજ દર, જે પણ ઓછા હશે તે આપવામાં આવશે. આ નવો નિયમ દરેક કોમર્શિયલ બેંકો, સ્મોલ ફાઈનાન્સ બેંક, સહકારી બેંક, સ્થાનિક પ્રાદેશિક બેંકોમાં જમા રકમ પર લાગુ થશે.
નિયમ શું કહે છે?
ધારો કે, તમે 5 વર્ષની મુદ્દતવાળી FD કરાવી છે, જે આજે પાકી રહી છે. પરંતુ તમારે આ રૂપિયા ઉપાડવા નથી તો તમારી પાસે બે માર્ગ છે. પ્રથમ કે જો FD પર મળી રહેલુ વ્યાજ એ જ બેંકના બચત ખાતા પર મળી રહેલા વ્યાજથી ઓછું છે, તો તમને FD વાળુ વ્યાજ મળતુ રહેશે. બીજુ કે જો FD પર મળતુ વ્યાજ બચત ખાતા પર મળી રહેલા વ્યાજથી વધારે છે, તો તમને બચત ખાતા પર મળી રહેલુ વ્યાજ FD પાક્યા બાદ મળશે.