જમ્મૂ-કાશ્મીરમાં વિદેશી રાજદૂતોની મુલાકાત બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ 26 લોકો પર PSA હટાવ્યા બાદ તેમની મુક્તિની શક્યતા બતાવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ સૂત્રોને મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાની મુક્તિને લઇને એક સમજૂતિ પર કામ ચાલી રહ્યું છે.
ફારૂક-ઓમર અબ્દુલ્લાની મુક્તિ માટે સરકારની ડીલ
ડીલમાં બંને નેતાઓએ આપવો પડશે વાયદો
બંનેને રાજનીતિ દૂર રાખવા મોકલી શકાય છે બ્રિટન
ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાની મુક્તિને લઇને સરકાર સાથે એક સમજૂતિ કરાર કરવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. આ સમજૂતિ અનુસાર જમ્મૂ-કાશ્મીરના આ બંને પ્રમુખ નેતાઓએ સક્રિય રાજકારણથી કેટલાક દિવસ દૂર રહેવાના વાયદા બાદ જ નજરકેદમાંથી મુક્ત કરવામાં આવી શકે છે.
જો કે એક મળતાં અહેવાલ મુજબ ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને રાજકારણથી દૂર રાખવા માટે કેટલાંક દિવસ બ્રિટેન મોકલવામાં આવી શકે છે.
સરકારના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આવો એક પ્રસ્તાવ તૈયારતો કરવામાં આવી રહ્યો છે, ત્યાર બાદ આ મુદ્દા પર વાતચીત માટે ફારૂક અને ઓમર અબ્દુલ્લાનો સંપર્ક કરવામાં આવી શકે છે. સરકારના એક ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર એક વિચાર એ પણ છે કે બંને નેતાઓને કેટલાક સમય માટે બ્રિટેન મોકલવામાં આવે.
ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટથી જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હટાવ્યા બાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદથી જ નેશનલ કોન્ફરન્સ નેતા ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને નજરકેદ કરવામાં આવ્યાં હતા.