અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સજાપુર ટીટીસર ગામના 50 વર્ષીય ખેડૂત જગદીશભાઈ ગલબાભાઈ પટેલે સવારે ખેતરમાં જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ ખેડૂતે ઝેરી દવા ગટગટાવી હોવાની જાણ પરિવારજનોને થતા જ તાબડતોડ જગદીશભાઈ પટેલને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હાલ સારવાર હેઠળ રખાયેલા આ ખેડૂતના પત્ની મંજુલાબેન પટેલે મોડાસા રૂલર પોલીસ સ્ટેશનને આ બનાવની જાણ કરતા રૂલર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. જોકે આ ચકચારી બનાવમાં ખેડૂત દ્વારા લખાયેલ ત્રણ પાનાની એક સ્યુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી. જેમાં કરાયેલા ઉલ્લેખ મુજબ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેડૂતની ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ
મોડાસાના આ ખેડૂતે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ હતી. આ જગદીશભાઈ દ્વારા જે લોકો તેમને પજવણી કરતા હતા તેવા ચાર વ્યક્તિના નામો પણ આ ચીઠ્ઠીમાં લખવામાં આવ્યા છે. આ ખેડૂત જગદીશભાઈને જમીન લેતીદેતીના મુદે મોડાસાના એક તબીબ સહિત ચાર ઇસમોના નામનો ઉલ્લેખ કરાયો છે. જેના મામલે પરિવારજનો અને ગામના સરપંચ દ્વારા તમામ માહિતી પોલીસને આપવામાં આવી છે જેના આધારે પોલીસ હાલ તપાસ કરી રહી છે.
જમીન ખરીદીમાં મોડાસાના એક તબીબને વચ્ચે રાખ્યા હતા. બાના ખત પેટે તબીબે ૧૨.૫ લાખની રકમ ખેડૂતને આપી હતી. તબીબ બે વર્ષથી બાનાખાતની રકમની ઉઘરાણી કરતા હતા. મોડાસાના તબીબના માનસિક ત્રાસના કારણે ઝેરી દવા પીધી હતી. ખેડૂતને બેભાન અવસ્થામાં સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જૂનાગઢઃ દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂતે જીવન ટુંકાવ્યું
ખેતરમાં કાળી મજૂરી કરીને આખી દુનિયાનું પેટ ભરતા ખેડૂતની હાલતી એટલી દયનીય બની રહી છે કે, જગતનો તાત અંતિમ પગલુ ભરવા માટે મજબુર બન્યો છે. ત્યારે થોડા દિવસ અગાઉ વંથલી તાલુકાના કણજા ગામના એક દિવ્યાંગ ખેડૂત પર મુશ્કેલીઓનું આભ ફાટી પડતા આ ધરતીપુત્રએ જીવન ટૂંકાવ્યું હતું. વાલજીભાઈ ભાલાણી નામના ખેડૂતને નવ વીઘાનો આંબાનો બગીચો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી બગીચામાં ઉત્પાદન ન આવતા આ ખેડૂત દેવાના ડુંગર તળે તબાયા હતા. એવામાં વાલજીભાઈએ ઉછીના અને વ્યાજે લીધેલા પૈસા અને સહકારીનું દેવુ વધી જતા ખેડૂતે આ પગલુ ભરવુ પડ્યું હતું.