છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં તંત્ર મંત્ર કરનારા ભૂવાઓએ લોકોને તેઓની મોહજાળમાં ફસાવી લોકોની સાથે છેંતરપીંડી કરવાનાં ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે કેટલાક ભુવાઓએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.છતા સમાજની આંખ ન ઉઘડે તો આગામી સમય કેટલો ઘાતક નિવડશે તેની કલ્પના જ કરવી રહી.
વિધર્મીની જાળમાં ફસાઈને દીકરીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હોય એવા અનેક કિસ્સા આપણે જોયા છે અને તેના ઉપર ચર્ચા પણ થઈ છે. હવે સમાજ માટે વધુ એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે અને કદાચ આ કિસ્સાને જોઈ સમજીને સમાજની આંખ ઉઘડે તો એ વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે કામ જ આવશે. તાજેતરમાં સૂરજ ભૂવાએ ધારા નામની યુવતીની સાયલા પાસે હત્યા કરી તે કિસ્સો જાણીતો બન્યો. કેવી રીતે એ દીકરી ભૂવાના પરિચયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવી, કેવી રીતે બંને વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો. કેવી રીતે કંકાસ વધ્યો અને પછી હત્યાના દોઢ વર્ષ પછી કઈ રીતે ભેદ ખુલ્યો તે તમામ વાતો વિદિત છે. દોરાધાગા કે તંત્ર મંત્ર કરનાર ભૂવાએ કોઈ વ્યક્તિ કે પરિવાર સાથે રૂપિયાની છેતરપિંડી કરી હોય કે જે તે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોય તેવા કિસ્સા વારંવાર આપણી સામે આવે છે. ત્યારે આ કિસ્સામાં તો એક દીકરીએ જિંદગીથી હાથ ધોવા પડ્યા છે. આ કદાચ એ કિસ્સો છે જે પ્રકાશમાં આવ્યો અને એ પણ દોઢ વર્ષે ત્યારે એવા તો કેટલાય કિસ્સા હશે જે સામે નહીં આવ્યા હોય. અહીં એક પરિણીત ભૂવાના પ્રેમમાં દીકરી પડી ત્યારે પ્રશ્ન એ થાય કે દીકરીઓ સાચા-ખોટાનો ભેદ કેમ પારખી શકતી નથી, દીકરીના વાલીઓએ શું કરવું ઘટે કે જેથી દીકરીઓને આવા શેતાનોથી બચાવી શકાય.. દોરાધાગા કરનારા ભૂવાઓની મેલીમુરાદ વારંવાર બર આવતી રહે છતા સમાજની આંખ ન ઉઘડે તો આગામી સમય કેટલો ઘાતક નિવડશે તેની કલ્પના જ કરવી રહી.