પશુપતિ પારસે ચિરાગને રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી દૂર કરી દીધા છે
તમામ 5 બળવાખોર સાંસદોને પાર્ટીમાંથી કાઢી મૂકવાની જાહેરાત કરતા ચિરાગે પાસવાને પાર્ટી અધ્યક્ષ પદ પર પોતાનો દાવો માંડ્યો છે. ચિરાગ પાસવાને વર્ચ્યુઅલ બેઠકને સંબોધિત કરીને પાંચ સાંસદોને પાર્ટીમાંથી કાઢી મૂકવાની જાહેરાત કરી.
પશુપતિ પારસ અને નીતિશ કુમારની સામે આક્રોશ, તસવીરો સળગાવાઈ
ચિરાગ સમર્થકોએ પટણા એલજેપીના કાર્યાલયમાં જોરદાર હોબાળો મચાવ્યો હતો. એલજેપીના કાર્યકરોએ પશુપતિ પારસ, બળવાખોર સાંસદો તથા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની તસવીરો સળગાવી અને જોરદાર નારેબાજી કરી. એલજેપી પ્રદેશ કાર્યાલયની બહાર પશુપતિ પારસના અધ્યક્ષ પદના બોર્ડ તથા એલજેપીના તમામ પાંચ સાંસદોના બેનર પર કાળી શાહી લગાવી દીધી હતી.
Bihar: Supporters of Chirag Paswan smear black ink on the posters of 5 LJP MPs including Pashupati Kumar Paras outside the party's office in Patna pic.twitter.com/J3K6KAhhXP
ચિરાગ પાસવાન એકીસાથે ત્રણ-ત્રણ હોદ્દો ભોગવતો હોવાનું કારણ આપીને તેમને હટાવાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ચિરાગ પાસવાનની જગ્યાએ સૂરજભાન સિંહને LJP ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષને 5 દિવસની અંદર રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવાનો આદેશ અપાયો છે. પાર્ટીમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે ચિરાગ પાસવાન જ્યારે સોમવારે દિલ્હીમાં તેમના કાકા પશુપતિ કુમાર પારસના ઘેર પહોંચ્યા ત્યારે મીડીયા રિપોર્ટમાં જણાવાયું કે તેઓ એક પ્રસ્તાવ લઈને ગયા હતા જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદથી તેમના રાજીનામાની ઓફર સાથે તેમની માતા રીના પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ સામેલ હતી.
ચિરાગના કાકા પશુપતિ પારસ પર પાર્ટીનો કબજો
પરંતુ ચિરાગે પોતાના કાકાના ઘરના બંધ ગેટ પર 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી તેમ છતાં પણ મુલાકાત થઈ શકી નહોતી. પશુપતિ કુમાર પારસ ચિરાગને બાદ કરતા બાકીના 5 સાંસદોના ટેકાથી પાર્ટી પર પૂરો કબજો જમાવવાની તૈયારીમાં છે. પશુપતિ પારસ ચિરાગ સાથે કોઈ પણ સમાધાન કરવા તૈયાર નથી. ચિરાગનો પિત્રાઈ ભાઈ પ્રિન્સ રાજ પણ કાકા પારસ સાથે છે. આવી સ્થિતિમાં ચિરાગ પાર્ટીમાં એકલો પડી ગયો છે.
ચિરાગ પાસવાને કાકાને નામે લખ્યો ઈમોશનલ લેટર
બેઠક પહેલા ચિરાગે કાકાના નામે એક અત્યંત ભાવુક ટ્વિટ કરીને જણાવ્યું કે પાપાની બનાવેલી આ પાર્ટી અને પરિવારને એક કરવાનો મેં પ્રયાસ કર્યો પરંતુ સફળ ન રહ્યો. પાર્ટી માતા સમાન છે અને માતા સાથે દગાબાજી ન કરવી જોઈએ. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. પાર્ટીમાં આસ્થા રાખનાર લોકોનો હું આભાર માનું છું. ચિરાગ પાસવાને કાકાને નામે એક જુનો પત્ર પણ શેર કર્યો.
જાણો શા માટે કાકાએ ભત્રીજાને કદ પ્રમાણે વેતરી નાખ્યો
LJP અધ્યક્ષના નાતે ચિરાગ પાસવાન ઘણા લાંબા સમયથી એકહથ્થું નિર્ણયો લેતા હતા. પાર્ટીમાં સિનિયર નેતાઓ અને સાંસદોનું પણ સાંભળતા નહોતા. ચિરાગના આ વ્યવહારથી પાર્ટીમાં તેમની સામે અસંતોષ વધી રહ્યો હતો.
પાર્ટીમાં રહીને કાકા પશુપતિ પારસ આ બધું જોઈ શકતા નહોતા તેથી તેમણે પાંચ સાંસદો સાથે ગુપ્ત બેઠક કરીને સૌથી પહેલા તો ચિરાગને સંસદીય દળના નેતા તરીકે હટાવી દીધા ત્યાર બાદ હવે તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી પણ દૂર કરી દીધા.