લોકસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાનને આડે હવે માત્ર દસ દિવસ જ બાકી રહ્યાં છે. રાજકીય પક્ષોએ માત્ર પ્રચાર-પ્રસાર જ નહીં પરંતુ વાસ્તવિક તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ માહોલ વચ્ચે જ્યાં ચૂંટણીપંચ ઉમેદવારોની તમામ ગતિવિધિઓ પર નજર નાખી રહ્યું છે ત્યાં સોશિયલ મીડિયા પર પણ આદર્શ આચાર સંહિતા જાળવી રાખવા ફેસબુકે પણ કમસ કસી છે. ફેસબુકે કોંગ્રેસ સાથે સંબંધિત 687 પેજ પોતાની સાઈટ પરથી હટાવી દીધાં છે.
લોકસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાનને હવે માત્ર 10 દિવસ જ બાકી છે. ઉનાળાની ગરમીનાં પારા સાથે-સાથે તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર તૈયારી આરંભી દીધી છે. પ્રથમ તબક્કાનાં મતદાન પહેલાં ઉમેદારો ઉમેદવારી પત્રો ભરવામાં વ્યસ્ત છે અને વિપક્ષો એકબીજા સામે શાબ્દિક પ્રહારો કરવામાં વ્યસ્ત છે. ત્યારે આ ચૂંટણીને ધ્યાને રાખીને નિયમ અને કાયદાઓ પણ આકરા થઈ રહ્યાં છે.
ચૂંટણીપંચ રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે તો સામે પક્ષે સોશિયલ મીડિયા પર આચારસંહિતા જળવાઈ રહે તે માટેની પણ કવાયત ચાલું છે. કેમ કે બદલાતી પ્રચાર રીતો અને જનસમૂહમાં વ્યાપ જોતાં રાજકીય પક્ષો સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરતાં થયા છે. જેનાં કારણે તેનાં પર નજર રાખવી જરૂરી બની ગયું છે.
સોશિયલ મીડિયા પર આચારસંહિતા જાળવી રાખવાની દિશામાં ફેસબુકે આકરું વલણ અપનાવ્યું છે. પ્રથમ તબક્કાનાં મતદાનને હવે માત્ર દસ દિવસ જ બાકી રહ્યાં છે અને પ્રચાર ચરમસીમા પર છે ત્યારે ફેસબુકે કોંગ્રેસને ઝટકો આપ્યો છે.
ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધિત 687 પેજ પોતાનાં પ્લેટફોર્મ પરથી હટાવી દીધાં છે. સંભવિત રીતે ફેસબુકે પ્રથમવાર જ કોઈ મોટી રાજકીય પાર્ટી સામે આ પ્રકારનું પગલું ભર્યું છે. સોશિયલ મીડિયા ફેસબુકે આ વિગત આપતાં જણાવ્યું કે, અપ્રામાણિક વ્યવહાર હોવાનાં કારણે દેશનાં મુખ્ય વિરોધ પક્ષ સાથે સંબંધિત 687 પેજને હટાવવામાં આવ્યાં છે. ફેસબુકે આ બાબતે સ્પષ્ટ કર્યું કે, આ પેજને તેમાં લખાયેલી સામગ્રી વિષયને ધ્યાને રાખીને નહીં પરંતુ ઈન ઓથેન્ટિક બિહેવિયર એટલે કે અપ્રામાણિક વ્યવહારનાં કારણે હટાવવામાં આવ્યાં છે.
ફેસબુકે પોતે હટાવેલાં પાનાંઓનાં બે સેમ્પલ પણ રજૂ કર્યા હતાં. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં પ્રયત્નોની ટીકા કરવામાં આવી હતી અને કોંગ્રેસ અને તેનાં અધ્યક્ષ રાહુલ ગાંધીને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી હતી. ફેસબુક અધિકારીઓનું કહેવું છે કે, કેટલાંક લોકોએ પોતાની ઓળખ છૂપાવીને આ પ્રકારની અપીલ અને ટીકા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફેસબુકે આ પ્રકારનાં અપ્રમાણિક વર્તાવ માટે કોંગ્રસનાં આઈટી સેલ સાથે જોડાયેલાં લોકો સામે પણ આંગળી ચીંધી છે. ફેસબુકને લાગે છે કે, આ પેજોનાં એડમિન તથા એકાઉન્ટ હોલ્ડરોએ સ્થાનિક સમાચારો અને રાજનીતિક મુદ્દાઓમાંથી પોસ્ટ કરી હતી. જેમાં આગામી ચૂંટણી ઉમેદવારોનાં વિચારો તથા કોંગ્રેસ તરફથી ભાજપ અને અન્ય વિરોધ પક્ષોની ટિકા અને ટિપ્પણ કરવામાં આવી હતી.
જુઓ અમે હજુ અમને મળતા આ પ્રકારનાં મીડિયા અહેવાલોને બાબતે કોઈ વળતી પ્રતિક્રિયા આપી નથી. અમે આ બાબતી અને વિવિધ ખબરોની ખરાઈ તપાસી રહ્યાં છીએ. જો અમારી સાથે જોડાયેલાં કોઈ ફેસબુક પેજીસ કોઈ પણ રીતે આચારસંહિતાનો ભંગ કરતા હશે અને સમાજને પ્રભાવિત કરતાં હશે તો અમે તેને ચેક કરીશું. જો તેમ નહીં જણાય તો અમે વિવિધ મીડિયા રિપોર્ટ અને ફેસબુકને પ્રતિક્રિયા આપશું.
ભારતમાં સૌથી વધુ 30 કરોડ લોકો ફેસબુક યુઝર તરીકે નોંધાયેલાં છે. જેમાં અસંખ્ય લોકો ફેક એકાઉન્ટ બનાવીને અલગ-અલગ ગ્રુપ સાથે જોડાય છે અને પક્ષો, ઉમેદવારો એને લોકોની માન્યતાઓ તેમજ ચૂંટણી પ્રક્રિયાને પર અસર કરે તેવી સામગ્રીનો ફેલાવો કરે છે.
ત્યારે આગામી દિવસોમાં યોજાનારી લોકસભા ચૂંટણી પર આ પ્રકારની સામગ્રીથી દુષ્પ્રભાવ ન પડે તે માટે એક જવાબદાર સોશિયલ મીડિયા તરીકે ફેસબુકે લીધેલું આ પગલું પ્રસંશનીય છે સાથે તેની હવે એ પણ જવાબદારી બનશે કે દરેક પક્ષ પ્રત્યે તેનો વર્તાવ તટસ્થ રહે.