છેલ્લા કેટલાક વર્ષોમાં ફેસબુક અને વોટ્સએપ દ્વારા ખોટા સમાચારો એટલે કે ફેક ન્યુઝ ફેલાવવાને કારણે તોફાનો અને મોબ લિંચિંગ જેવા અનેક બનાવો બન્યા છે. આ બનાવો ટાળવા માટે ફેસબુક પર સતત દબાણ હતું. ભારતમાં ખોટા સમાચારોને ઓળખવા અને તેને દૂર કરવા માટે હવે ફેસબુકએ એક નવો વિકલ્પ શરૂ કર્યો છે.
આર્ટીફીશ્ય્લ ઈન્ટેલીજન્સ અને થર્ડ પાર્ટી મીડિયા એજન્સીની મદદ લેવાશે
સતત ફેક ન્યુઝ શેર કરનારનું એકાઉન્ટ પણ બ્લોક થઇ શકે છે
હવે આ નવા ફિચરના આવવાથી જો કોઈ યુઝર ફેસબુક પર કોઈ ફેક ન્યૂઝ અથવા કોઈ ખોટી હકીકત પોસ્ટ કરશે તો તે પોસ્ટ પર 'False Information' એટલે કે 'ખોટી માહિતી' વાળી એલર્ટ લખાઈને આવશે. આ ફીચર વિષેની માહિતી એક ફ્રીલાન્સ સિક્યુરિટી રિસર્ચર પાસેથી મળી છે. નોંધનીય છે કે ફેસબુક અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ દ્વારા બનાવટી સમાચારો ફેલાવાના કારણે અનેક બનાવ બન્યા છે.
આ પછી સરકારે આ વિષય પર સોશિયલ મીડિયાની આ બે દિગ્ગજ કંપનીઓ પર ખૂબ દબાણ મૂક્યું હતું. NCRBના રિપોર્ટ અનુસાર, વર્ષ 2017 માં દેશમાં ફેક ન્યુઝના 170 કેસ નોંધાયા હતા.
આ સુવિધા ચૂંટણી સમયે શરુ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે આ ચેતવણી ફક્ત પોસ્ટ શેર કરનાર વ્યક્તિને આપવામાં આવી હતી. જો કે, હવે કંપનીએ બાકીના વપરાશકર્તાઓને પણ એલર્ટ આપવાનું શરૂ કરી દીધું છે. ફેસબુકે ભારતમાં પણ તેના માટે કેટલાક પાર્ટનર્સ બનાવ્યા છે.
આ સ્ક્રીનશોટ્સ થી સમજો આ ફીચર કેવી રીતે કામ કરે છે
સંશોધનકારે કહ્યું છે કે ફેસબુકે બનાવટી સમાચારો અને ખોટા તથ્યોને ઓળખવા અને તેમને વેબસાઈટ પરથી દૂર કરવાનું કામ પણ શરૂ કર્યું છે. આ માટે કંપની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો આશરો લઈ રહી છે. સંશોધનકાર માને છે કે ભારત જેવા મોટા દેશમાં આટલા મોટા પાયે બનાવટી સમાચારો કે ખોટા તથ્યોની ઓળખ કરવી અને તેવી પોસ્ટ્સને વેબસાઈટ પરથી દૂર કરવી ખૂબ મુશ્કેલ છે.
આ કારણોસર, ફેસબુક પહેલા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની મદદથી આવી પોસ્ટ્સ અને ફોટાઓને ઓળખે છે. આ એવી પોસ્ટ્સ છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો સાથે ભાવનાત્મક રૂપે જોડાયેલ છે. ત્યારબાદ ફેસબુક થર્ડ પાર્ટી એટલે કે મીડિયાના વાસ્તવિક સમાચારની લિંક દ્વારા તેમની તપાસ કરે છે. આ બધું રોબોટ્સ દ્વારા થાય છે.
જો પોસ્ટની હકીકત અથવા કોઈપણ સમાચાર ખોટા જોવા મળે છે તો તેના પર ચેતવણી એટલે કે એલર્ટનું નિશાન દેખાશે અને તેના પર ક્લિક કરીને તમે તે પોસ્ટ અથવા હકીકત વિશેની વાસ્તવિક માહિતી જાણી શકશો. કોઈપણ વપરાશકર્તા ફેસબુક પર બનાવટી સમાચારોને ઓળખીને ફેસબુકને તેનો તાત્કાલિક રિપોર્ટ કરી શકશે.
જો કોઈ ફેક્ટચેકર કોઈ સમાચારને ફેક એટલે કે બનાવટી તરીકે રેટ કરે છે, તો તે ન્યૂઝ ફીડમાં નીચે દેખાશે. આ તેને જોનારા લોકોની સંખ્યામાં ઘટાડો કરશે. હવેથી વારંવાર ફેસબુક પર ખોટી માહિતી, બનાવટી સમાચારો કે ખોટા તથ્યો પોસ્ટ કરવાથી તે વપરાશકર્તાના એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે અથવા તેનું એકાઉન્ટ બ્લોક પણ થઇ શકે છે.