સોશિયલ મીડિયાને લઇ લોકોના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. તેનાથી દુનિયા બદલાઇ રહી છે, પરંતુ તેના દુષ્પ્રભાવ પણ સામે આવી રહ્યા છે. આજકાલ સોશિયલ મીડિયાને લઇ દેશમાં એક તોફાન ઊભું થયું છે. કોંગ્રેસ પક્ષે એવો ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ભાજપ માટે કામ કરી રહ્યું છે.
ફેસબુક પર ભાજપ નેતાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવતા અને નફરત ભડકાવતા કન્ટેન્ટને પ્રોત્સાહિત કરવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસના નેતાઓ કહે છે કે આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ થવી જોઇએ, પરંતુ ભાજપે આ માગણીને ફગાવી દીધી છે.
ભાજપ પ્રત્યે કૂણું વલણ હોવાનો પર્દાફાશ અમેરિકન અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલે કર્યો
વાસ્તવમાં આ સમગ્ર મામલાની ચોંકાવનારી હકીકત એ છે કે ફેસબુકને લઇ ભાજપ પ્રત્યે કૂણું વલણ હોવાનો પર્દાફાશ અમેરિકન અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલે કર્યો હતો. આ અખબારે જણાવ્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓની નફરત ભડકાવતી પોસ્ટને ફેસબુકે હટાવી નહોતી. આ અંગે ભારત સ્થિત ફેસબુકના પોલિસી ડાયરેક્ટર અંખી દાસે એવી દલીલ કરી હતી કે ભાજપના નેતાની પોસ્ટ હટાવવાથી ફેસબુકને ભારતમાં કામ કરવાની મુશ્કેલી પડશે તેમજ ફેસબુકનાં બિઝનેસ હિત પ્રભાવિત થશે.
ફેસબુક પર ભાજપ અને RRSનો સંપૂર્ણ કંટ્રોલ: કોંગ્રેસનો આક્ષેપ
ધ વોલ સ્ટ્રીટ જર્નલના આ પર્દાફાશ બાદ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ફેસબુક પર ભાજપ અને RRSનો સંપૂર્ણ કંટ્રોલ છે. સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુક પર ભારતીય જનતા પાર્ટી તરફ પોતાના મહત્ત્વના નીતિ-નિયમોમાં રહેમનજર રાખવાના મુદ્દે વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. આ મામલે કોંગ્રેસ દ્વારા કંપનીના વડા માર્ક ઝકરબર્ગને ઈ-મેઈલથી એક પત્ર પાઠવી નિષ્પક્ષ તપાસની માગણી કરાઈ હતી. પાર્ટી વતી આ પત્ર રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી કે.સી. વેણુગોપાલના નામથી ઝકરબર્ગને ઈ-મેઈલ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે દરેક ભારતીય નાગરિકે આ મામલે સવાલ કરવો જોઈએ.
ફેસબુક અને વોટ્સએપના દૂરુપયોગને સજ્જડ બ્રેક મારવાની જરૂર
આ વિવાદના પગલે એવા આક્ષેપ થઇ રહ્યા છે કે ફેસબુક હવે 'ઠેસબુક' બની ગઇ છે. ફેસબુક પર લોકો દ્વારા ફેક ન્યૂઝ, બેબુનિયાદ ટીકા, અશ્લીલ ચર્ચા અને રાષ્ટ્રવિરોધી અફવાને ઉત્તેજન આપવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ભારતમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીની સ્થાયી સંસદીય સમિતિના અધ્યક્ષ શશી થરુરે પણ આ મામલામાં તપાસ કરવાની માંગણી કરી છે. ફેસબુક જે રીતે લોકોને છૂટોદોર આપી રહી છે તે જોતાં એ જરૂરી છે કે ફેસબુક પર નિયંત્રણ લાદવાં જોઇએ. આ સમગ્ર મામલાને પક્ષનાં ચશ્માંથી જોવાના બદલે રાષ્ટ્રીય દૃષ્ટિએ જોવાની જરૂર છે. ફેસબુક અને વોટ્સએપના દૂરુપયોગને સજ્જડ બ્રેક મારવાની જરૂર છે. જો ફેસબુક અને વોટ્સએપને રોકવામાં નહીં આવે તો અરાજકતા ફેલાશે અને ચીનની જેમ ભારતમાં પણ ફેસબુકને લોકો 'ઠેસબુક' કહેવા લાગશે.
Congress repeatedly raised issue of bias with many Facebook executives. Would suggest to set up a high-level inquiry into Facebook India leadership team & submit report to Facebook Inc. within a reasonable period of time: KC Venugopal,AICC Gen Secy to Facebook CEO Mark Zuckerberg pic.twitter.com/Gahb5lnrgI
આ આરોપ અંગે ફેસબુકના મુખ્ય મથક દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની તપાસની માંગ
ફેસબુકની નિરંકુશતાને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ઝકરબર્ગને સૂચન પણ કરાયું છે, જેમાં જણાવાયું છે કે આ આરોપ અંગે ફેસબુકના મુખ્ય મથક દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની તપાસ શરૂ કરવામાં આવે. તપાસને એક કે બે માસમાં જ પૂર્ણ કરવામાં આવે અને તેનો રિપોર્ટ કંપનીના બોર્ડને સુપરત કરવામાં આવે. આ રિપોર્ટને સાર્વજનિક પણ કરવો જોઈએ. વેણુગોપાલ દ્વારા પત્રમાં વધુમાં જણાવાયું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઈન્ડિયન યુનિટનો કારભાર કોઈ નવી ટીમને સુપરત કરવો જોઈએ, જેથી તપાસ પ્રક્રિયા નિષ્પક્ષ રહી શકે.
જો ફેસબુક અને વોટ્સએપ નિષ્પક્ષતા દાખવશે નહીં તો અફવાની આંધીમાં દેશ ભડકે બળી શકે છે
એ ભૂલવું જોઇએ નહીં કે ફેસબુક અને વોટ્સએપ જેવાં સોશિયલ મીડિયા બેધારી તલવાર જેવાં છે. આથી જો ફેસબુક અને વોટ્સએપ નિષ્પક્ષતા દાખવશે નહીં તો આ સોશિયલ પ્લેટફોર્મ પર અફવાની આંધીમાં દેશ ભડકે બળી શકે છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે ફેસબુક અને વોટ્સએપના કારણે કોમી દાવાનળના પગલે દેશમાં ભારે અરાજકતા સર્જાઇ હતી અને નુકસાન પણ થયું હતું. ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું કડક નિયમન કરવા માટે કોઇ સંસ્થાની રચના કરવી આવશ્યક જ નહીં, બલકે અનિવાર્ય છે.