ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના નિવેદન પર સખત પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ભારત કોઈની સાથે મળીને કે કોઈ બીજાના ઇશારે કામ કરતું રાષ્ટ્ર નથી, પરંતુ પાકિસ્તાન આ કામ જરૂરથી કરી રહ્યું છે.
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને આપ્યો જવાબ
પાક વડાપ્રધાન ઈમરાન ખાને ભારત પર લગાવ્યા હતા આરોપ
ભારતે પશ્ચિમી દેશોના ઇશારે ચીનને ઘેર્યુ હોવાનો લગાવ્યો હતો આરોપ
નોંધનીય છે કે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચીન સાથેના તેમના દેશના સંબંધ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પશ્ચિમી દેશો ભારતનો તેમના હિતો સાધવા માટે ઉપયોગ કરી રહ્યા છે જેથી ચીનને રોકી શકાય. સાથે જ ઇમરાન ખાને કહ્યું કે આ જ કારણ છે કે ચીનને પાકિસ્તાનની જરૂર છે. તેમણે પાકિસ્તાનની ભૂ-રાજકીય સ્થિતિને પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી.
ભારત એક સંપૂર્ણ જુદો સાંસ્કૃતિક દેશ છે: વિદેશમંત્રી
હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન ભારતીય વિદેશ પ્રધાને કહ્યું છે કે પાકિસ્તાને તેના પોતાના વિશે વિચાર કરવો જોઇએ. ભારત એક સંપૂર્ણપણે જુદો સાંસ્કૃતિક દેશ છે. આપણો ઇતિહાસ જુઓ. આપણે બે સદીઓથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાથી, આપણે આપણી સ્વતંત્રતાનો ખૂબ આદર કરીએ છીએ. કેટલાક લોકોને લાગે છે કે જો તેઓએ કંઈક ખોટું કર્યું છે, તો અમે પણ તે કરીશું, પણ ભારતનો પોતાનો એક ચોક્કસ દ્રષ્ટિકોણ છે.
એસ જયશંકરે કહ્યું કે ભારતના પોતાના હિતો છે, ભારતનું પોતાનું એક સ્પષ્ટ ચરિત્ર છે, જેને કોઈના વિરુદ્ધ બતાવીને તેને નકારાત્મક સિદ્ધ કરી શકાય નહીં.
પાકિસ્તાન ચીન સાથેના ભારતના સરહદ વિવાદનો લાભ ઉઠાવવા માંગે છે
ઉલલખનીય છે કે ભારત છેલ્લા ચાર મહિનાથી ચીન સાથેના સરહદ વિવાદમાં ઘેરાયેલું છે. જૂનના મધ્યમાં ગલવાન ઘાટીની ઘટનાએ વિવાદને વધુ વધાર્યો છે. આવી સ્થિતિમાં, ચીન સાથે પાકિસ્તાનને પોતાની નિકટતા વધારવા માટેનો આ સૌથી અનુકૂળ સમય લાગે છે.
પાકિસ્તાનના વડા પ્રધાન દ્વારા સતત ચીનની તરફેણમાં નિવેદનો અપાઈ રહ્યા છે. લાંબા સમયથી અમેરિકાનું ખાસ રહેલું પાકિસ્તાન હવે ચીનને વધારે ખુશ કરવા માંગે છે, કેમ કે અમેરિકા દ્વારા પૈસા અને હથિયારો બંને મોરચે સહાયતા બંધ કરાયા પછી આ બંને બાબતો માટે પાકિસ્તાન હવે ચીનનું ઓશિયાળું બની રહ્યું છે.