રાષ્ટ્ર, પ્રદેશ, જનતા અને દેશની સેવાના નામે આજે હાર્દિક ભાજપમાં જોડાયો છે. આજે ભાજપના રંગે રંગાતા પહેલા હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને રાષ્ટ્ર કલ્યાણના ભાવ સાથે દુર્ગા પૂજાનું આયોજન કર્યું હતું. ત્યારબાદ એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. આ અવસરે હાર્દિક પટેલે લોક હિતના સારા કર્યામાં વધુને વધુ લોકોનો સહકાર સાંપડે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને અન્ય પાર્ટીઓના MLA-નેતાઓ સમયાંતરે ભાજપમાં જોડાશે તેવો દાવો પણ હાર્દિક પટેલે કર્યો હતો.
વધુને વધુ લોકોને ભાજપમાં જોડવાનો પ્રયાસ કરીશું: હાર્દિક પટેલ
આ તકે મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે મોટો દાવો કરતા જણાવ્યુ હતું કે, આજે મારો ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ છે. પરંતુ આ પછી આગામી સમયમાં દર દસ દિવસે રાષ્ટહિતના આ ભગીરથ કાર્યમાં જોડાવા માંગતા લોકો અને કોંગ્રેસ તથા અન્ય રાજકીય પાર્ટી પર ભરોશો નથી. તેવા તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, હોદેદારો, ધારાસભ્યો અને સંગઠનના હોદેદારોને ભાજપમાં જોડવાનો પ્રયાસ કરીશું. કોંગ્રસ સહિતના પક્ષોમાં એવા અસંખ્ય નેતાઓ, હોદેદારો છે જે જાણે છે કે જો વધુ સમાજ સેવાનું કામ કરવુ છે તો એક સારી નેતાગીરીની આવશ્યકતા છે. જેથી ગુજરાતના વધુને વધુ લોકોને ભાજપની વિચારધારાથી જોડાવાના પ્રયાસો કરીશ અને રાષ્ટ્ર હિતના કાર્યમાં રામસેતુની ખિસકોલી બનવાનો પ્રયાસ કરવાનો અંતમાં હાર્દિક પટેલે દાવો કર્યો હતો.
કોંગ્રેસમાં પ્રજાહિતના કર્યો ન થતાં મે રાજીનામું આપી દીધું
આજે હાર્દિક પટેલના ભગવાકરણ પહેલા કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. ત્યારબાદ હાર્દિક પટેલ મોટી સાંખ્યમાં રાજકીય,સામાજિક આગેવાનો અને સંતો-મહંતો કાર્યકર્તાઓની હાજરીમાં કેસરિયા કર્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે તેમને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવીને પત્રકારોને જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ સાથે રાષ્ટ્ર હિતના કાર્ય કરવા જોડાયો હતો પરંતુ તે દિશામાં કાર્યવાહી કરવામાં ન આવતા મે રાજીનામું આપી દીધું હતું. તેમ અંતમાં હાર્દિક પટેલે ઉમેર્યું હતુ.