મેગા સિટી અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે નવા નવા પ્રોજેક્ટ હાથ ધરાઇ રહ્યા છે, જોકે ખાટલે મોટી ખોડ એ છે કે નાગરિકોને નગર એટલે કે નળ, ગટર અને રસ્તા આ ત્રણ પૈકી એક પણ બાબતમાં તંત્ર દ્વારા લેશમાત્ર સંતોષજનક કામગીરી મળતી નથી.
શહેરમાં ચાલુ ચોમાસામાં ઠેર ઠેર રસ્તા ધોવાયા છે. ગટરલાઇન ઊભરાઇ રહી છે તો ર૪ કલાક પાણી પ્રોજેક્ટ હાથ ધરનાર સત્તાધીશો શહેરીજનોને સવારે બે કલાક શુદ્ધ પાણી પણ આપી શકતા ન હોઇ ઠેર ઠેર દૂષિત પાણીની સમસ્યા વકરી હોઇ ઝાડા-ઊલટી, કોલેરા, ટાઇફોઇડ, કમળા જેવા પાણીજન્ય રોગચાળાએ ઊથલો મારતાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળે છે. દરમિયાન ચોમાસાની રોગચાળાની સિઝનમાં ખુદ તંત્રના રિપોર્ટ મુજબ સંખ્યાબંધ સ્થળોએથી દૂષિત પાણી મળી આવ્યું છે.
સામાન્ય રીતે કોટ વિસ્તારમાં દાયકાઓ જૂની પાણી અને ગટરલાઇન હોઇ તેમાં કરાતાં આડેધડ ગેરકાયદે જોડાણથી દૂષિત પાણીની સમસ્યા છાશવારે ઊઠે છે. ખાડિયા, દરિયાપુર, શાહપુર, કાલુપુર વગેરે વિસ્તારોમાં ક્યારેક દૂધેશ્વર વોટર વર્કર્સના કારણે કે લાઇનમાં કોઇ લીકેજ વખતે દૂષિત પાણીથી ભારે ઊહાપોહ સર્જાય છે, પરંતુ શહેરના દાણીલીમડા, લાંભા, વટવા, ગોમતીપુર જેવા વિસ્તાર પણ દૂષિત પાણીની સમસ્યાથી પીડિત હોઇ ટાઇફોઇડ, કોલેરા, કમળા, ઝાડા-ઊલટીનાં એપી સેન્ટર બન્યાં છે.
ચાલુ મહિનાના સાત દિવસમાં ટાઇફોઇડના ૧૬૮, કમળાના ૭૪, ઝાડા-ઊલટીના ૧૧૩, કોલેરાના ૩ કેસ નોંધાઇ ચૂક્યા છે. સ્વાભાિવકપણે બિનસત્તાવાર આંક ત્રણથી ચાર ગણો છે. ખુદ તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ નિકોલ, ઓઢવ, રામોલ, ગોતા, થલતેજ, ઇન્ડિયા કોલોની, સરખેજ, દાણીલીમડા, મકતમપુરા, ચાંદખેડા, નારણપુરા, પાલડી, રાણીપ વગેરે વિસ્તારમાં ગત તા.રપ થી ૩૧ ઓગસ્ટ સુધી હાથ ધરાયેલા ચેકિંગમાં પાણીમાં પોલ્યુશન મળી આવ્યું હતું.
દરિયાપુર, ખાડિયા, લાંભા જેવા વિસ્તાર પણ રાબેતા મુજબ પાણીનાં પોલ્યુશન ધરાવતા હતા. ફક્ત એક અઠવાડિયામાં ર૭ સ્થળોએ તંત્રને પાણીમાં પોલ્યુશન મળી આવ્યું હતું. આ તો સ્થાનિક કોર્પોરેટર વગેરેના દબાણથી કરાયેલા ચેકિંગમાં મળેલા પોલ્યુશનયુક્ત વિસ્તાર છે, જોકે નિકોલ જેવા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમામ્ છે.
બીજી તરફ તંત્ર દ્વારા લેવાતા પાણીના સેમ્પલની કાર્યવાહી પણ ચાલુ વર્ષે સેનેટરી સુપરવાઇઝર સ્ટાફ પૂરતા પ્રમાણમાં ન હોઇ નબળી પુરવાર થઇ છે. ગત ર૦૧૮માં દર મહિને ૩૪૦૦ જેટલાં સેમ્પલ લેવાતાં હતાં.
જોકે આ વખતે મોટા ભાગનો સ્ટાફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને ફાળવી દેવાતાં પાણીજન્ય કેસની રૂટિન સર્વેની કામગીરી, ક્લોરિન ટેસ્ટની કામગીરી, કલોિરન ટેબ્લેટનું વિતરણ અને પાણીનાં સેમ્પલ લઇ સેન્ટ્રલ લેબોરેટરીને મોકલવાની કામગીરી વગેરે કામગીરી ખોરવાઇ ગઇ છે. ગત જુલાઇ માસમાં માંડ ૧ર૮૬ સેમ્પલ લેવાઇને તેમાંથી ૪૩ સેમ્પલ અનિફટ જાહેર કરાયાં હતાં એટલે કે શહેરીજનો પાણીજન્ય રોગચાળામાં સપડાયેલા છે તેવા સંજોગોમાં તંત્ર પાસે પૂરતો સ્ટાફ નથી.
દરમિયાન શહેરમાં પૂર્વ વિસ્તાર કહો કે કોટ વિસ્તારનો સમાવેશ ધરાવતા મધ્ય ઝોનને ગણો, પરંતુ પાણી અને ગટરલાઇન પર ગેરકાયદે મકાન કે દુકાનનાં બાંધકામ કરાયાં હોવાની સમસ્યા પણ તંત્ર માટે પડકારરૂપ બની છે.
આવા સંજોગોમાં જે તે મકાન કે દુકાનને હટાવી મેનહોલ કે ગટરલાઇનને સફાઇ કરી શકાતી નથી. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે આગામી દિવસોમાં ખાસ કરીને મધ્ય ઝોનમાં અમે નવી વેક્યુમ ટેક્નોલોજી અપનાવીને ગટરલાઇનની સાફસફાઇ કરીને લોકોને દૂષિત પાણીની સમસ્યાથી રાહત અપાવીશું.