જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આજે સવારથી એન્કાઉન્ટર ચાલુ છે. સુગન વિસ્તારના ઘનાડ ગામમાં હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તોઈબાના ટોચના કમાન્ડરોને સુરક્ષાદળોએ ઘેરી લીધા છે.
સેના, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે આતંકીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન ચલાવી રહ્યા છે. શોપિયા જિલ્લાના દરગદ સુગન વિસ્તારમાં આવેલા એક ગામમાં ખતરનાક આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
હાસ સમગ્ર શોપિયા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધખોળ જારી છે. સેનાએ સ્થાનિક લોકોને આતંકીઓની કોઈ પ્રકારની મદદ ન કરવા અપીલ કરી છે. આ અગાઉ ગઈકાલે ઉત્તરીય કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ ૧૫ કલાકના એન્કાઉન્ટર બાદ લશ્કર-એ-તોઈબાના બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ આંતકીઓ પાસેથી મોટા પ્રમાણમાં આધુનિક હથિયારો અને ગોળાબારૂદનો જથ્થો મળી આવ્યો હતો.
આતંકીઓના એન્કાઉન્ટર બાદ શોપોરના વિભિન્ન વિસ્તારોમાં ભારે હિંસા શરૂ થઈ ગઈ હતી. હિંસક તત્વોને કાબૂમાં લેવા માટે સુરક્ષાદળોએ લાઠી, ટિયરગેસ અને બેલેટગનની મદદ પણ લેવી પડી હતી. આ હિંસક અથડામણમાં ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. સ્થાનિક પ્રશાસને શોપોરમાં તમામ શિક્ષણ સંસ્થાનો બંધ રાખવા ઉપરાંત ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
શોપોરના એસએસપી જાવેદ ઈકબાલે જણાવ્યું કે, સોપોરના ડાંગરપોરા વિસ્તારમાં આતંકીઓ તેમના સ્લીપર સેલને મળવા આવવાના છે તેવી બાતમી મળી હતી. પોલીસે સેનાની 22 આરઆર અને સીઆરપીએફના જવાનો સાથે મળીને આતંકીઓને પકડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ગુરુવારે વહેલી સવારે ૩.૦૦ વાગ્યે જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
આતંકીઓએ સુરક્ષાદળોના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. પુલવામા હુમલા બાદ સુરક્ષાદળોએ અત્યાર સુધીમાં ૩૦થી વધુ ટોચના આતંકી કેડરને ઠાર માર્યા છે. ૨૦૧૯માં અત્યાર સુધીમાં અંદાજે ૯૦ આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે.