રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ટૂંક સમયમાં જ 20 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરી છે અને નોટ કેવી હશે તેની તસવીર પણ રજૂ કરી છે. 20 રૂપિયાની નવી નોટમાં પાછળની તરફ ઇલોરાની ગુફાનું ચિત્રણ કરવામાં આવ્યુ છે. સરકારની આ પહેલ ભારતીય ચલણ પર ધર્મની વિવિધતા દર્શાવવા માટે છે. અહીં ઈલોરાની ગુફાઓ વિશે કેટલીક રસપ્રદ બાબતો આપેલી છે, વાંચો…
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી ઈલોરાની ગુફાઓ બૌદ્ધ, જૈન અને હિંદુ ધર્મનો સમન્વય છે. આ ગુફાઓની વાસ્તુકળા અને મૂર્તિઓ ત્રણ ભિન્ન ભારતીય ધર્મો સાથે જોડાયેલી છે. આ ગુફાઓમાં 1થી 12 સુધી બૌદ્ધ, 13થી 29 હિન્દુ અને 30થી 34 સુધી જૈન ધર્મની ગુફાઓ છે.
ઈલોરાની ગુફામાં 34 મઠ અને મંદિર છે. જે પહાડના કિનારે લગભગ 2 કિલોમીટર સુધી ફેલાયેલા છે. આ ગુફાઓનું નિર્માણ 5મી અને 10મી સદી વચ્ચે થયું હતું. ઈલોરાની ગુફાઓ પર્વતો અને મોટા-મોટા પથ્થરોને કાપીને બનાવાઇ છે. આ ગુફાઓ વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે. ઈલોરામાં આવેલા મંદિરો હિંદુ, બૌદ્ઘ અને જૈન ધર્મને સમર્પિત છે. અહીં આવેલી બૈદ્ઘ ધર્મની ગુફા જેને વિશ્વકર્મા ગુફા કહેવાય છે તે સૌથી ફેમસ છે.
ઈલોરાની ગુફામાં 10 ચૈત્યગૃહ છે જે શિલ્પ દેવતા વિશ્વકર્માને સમર્પિત છે. બાંધકામની દ્રષ્ટિએ ઈલોરાનું કૈલાસગુહા મંદિર સૌથી શ્રેષ્ઠ છે. આ મંદિરનું નિર્માણ રાષ્ટ્રકૂટ શાસક કૃષ્ણ પ્રથમે કરાવ્યું હતુ.
આમ તો જૈન અને બૌદ્ધ ધર્મના શાસકોએ બનાવેલી આ ગુફામાં સજાવટ માટે થોડા ફેરફાર કરાયા છે. જોકે અહીં તમને શાંતિ અને આધ્યાત્મનો અનુભવ થશે. આ સ્થળ દૈવી ઉર્જા અને શક્તિથી ભરપૂર છે.