કોરોનાના વધતા સંકટ વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવી હતી. ત્યારે હવે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે.
ચૂંટણીપંચે વિજય જુલૂસ પર લગાવ્યો પ્રતિબંધ
5 રાજ્યોની ચૂંટણીનું 2 મેના રોજ પરિણામ
મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને લગાવી હતી ફટકાર
કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે. 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 2 મેના રોજ જાહેર કરવામાં આવશે, તેવામાં હવે ચૂંટણી પંચે પરિણામો બાદ કોઇપણ પ્રકારના જુલૂસ કે જશ્ન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનાના વધતા સંકટ વચ્ચે ચૂંટણીપંચે આ કડક નિર્ણય લીધો છે.
તમને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીના ચૂંટણી પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે. 4 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે, જ્યારે બંગાળમાં એક તબક્કાની ચૂંટણી બાકી છે. તેવામાં ચૂંટણી પંચ તરફથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના સંકટ છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપથી વધી રહ્યું છે. તેવામાં ચૂંટણી રેલીઓમાં ઉમટેલી ભીડ પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા. બંગાળમાં 7માં તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પંચે મોટી રેલીઓ, રોડ શો અને પદયાત્રા પર રોક લગાવી દીધી હતી, રાજકીય પક્ષોને વર્ચુઅલ સભાઓ કરવાની અપીલ કરી હતી.
સાથે જ મતદાનના 72 કલાક પહેલા જ પ્રચાર બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા. તેવામાં હવે જ્યારે મતદાન પૂર્ણ થવાનું છે, તો ચૂંટણી પંચ તરફથી મતગણતરીના દિવસની તૈયારીઓ કરવામાં આવી રહી છે.