કોરોના સંકટના કારણે શાળાઓ હજુ સુધી ખોલવામાં આવી નથી. શાળાઓને ફી લેવાની મનાઈ કરાઈ હોવા છતાં વાલીઓ પર દબાણ કરાઈ રહ્યું છે. ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક યોજાઇ હતી. જેમાં સ્કૂલ-કોલેજો શરૂ કરવા, ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા લેવામાં આવતી ફી અને ઓનલાઇન એજ્યુકેશન અંગે ચર્ચા થઇ હતી. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક પત્રકાર પરિષદ યોજી હતી.
ત્રણ મહિના સુધી સ્કૂલો બંધ રહેશે છતાં ફી તો ભરવી જ પડશેઃ શિક્ષણમંત્રી
વાલી માસિક ફી ભરી શકશેઃ શિક્ષણમંત્રી
સપ્ટેમ્બર મહિના ફી ભરશો તો ચાલશેઃ શિક્ષણમંત્રી
રાજ્ય સરકારે ફી મુદ્દે રાહત આપવાનો નિર્ણય તો લીધો છે પરંતુ ફી માફી અંગે કોઇ નિર્ણય નથી લીધો. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષની ફીમાં કોઈપણ વધારો નહીં થાય. જે રાજ્યના વાલીઓ માટે પહેલી રાહત છે. જો વાલી ફી ભરી શકે તેમ ન હોય તો ત્રિ-માસિક ફીના બદલે વાલી માસિક ફી ભરશે તો ચાલશે, જો વાલી ફી ભરી શકે તેમ ન હોય તે સપ્ટેમ્બરમાં ભરી શકે છે. તેના પર શાળા કોઇ ફી લેવા અંગે દબાણ ન કરી શકે. જો અમને આ પ્રકારની માહિતી મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન, યુનિફોર્મ, પુસ્તકો માટે પૈસા નહીં ઉધરાવી શકાય.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલોની તરફેણ કરી છે. ફી અંગે ખાનગી સ્કૂલો સામે સરકારની ઢીલી નીતિ જણાઇ રહી છે. સપ્ટેમ્બર મહિના સુધી સ્કૂલ બંધ હોવા છતાં આ ત્રણ મહિનાની ફી ભરવી પડશે. વાલીઓની માગ હતી કે બંધ સ્કૂલની ફી માફ કરવામાં આવે. તો શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામાએ રટણ કર્યું કે, ફી વધારો ન કરીને વાલીને સરકારે મદદ કરી છે.
ટ્યુશન ફી સપ્ટેમ્બર સુધી ભરાશે તો ચાલશે: ભૂપેન્દ્રસિંહ
ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, ટ્યુશન ફી સપ્ટેમ્બર સુધી ભરાશે તો ચાલશે. ટ્યુશન ફી સિવાયની કોઇ પણ પ્રકારની ફીની માગ શાળા નહીં કરી શકે.
શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, કોરોના મહામારી બાદ દેશમાં કામની પદ્ધતિ ફિઝિકલથી ડિજિટલ તરફ જઇ રહી છે. ત્યારે આ તબક્કામાં શિક્ષણ વિભાગે પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે તૈયારી કરી લીધી છે. પરિક્ષા લેવાની તૈયારી હતી ત્યાં કોરોના શરૂ થયો, ત્યારે હવે તૈયાર થયેલા પ્રશ્નપત્રો વહેંચવાની અમે કામગીરી શરૂ કરી દીધી છે. શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગનો કોન્સેપ્ટ તૈયાર કરાયો છે. 15 તારીખથી ડીડી ગીરનાર ચેનલ પર ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે 30 મિનીટ અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે 1 કલાક શિક્ષણ આપવામાં આવશે. જેમના ઘરે ટીવી નહીં હોય તેમને મટિરીયલ્સ પહોંચાડવામાં આવશે. ઘરે શિખિશું તેવું પણ અમે મટિરીયલ પણ અમે તૈયાર કર્યું છે. એ મીટિરિયલ એવું હશે જેનાથી વિદ્યાર્થી પોતે શીખી શકશે અને પોતાના મા-બાપની પણ મદદ લઇ શકે. શિક્ષકો ફોન કરીને પણ તેમનો સંપર્ક કરશે. મુખ્યમંત્રીના હસ્તે 15મી તારીખે લોન્ચિંગ કરવામાં આવશે.