શિયાળાની શરૂઆત થતાં જ લોકો અનોખાં વસાણાં બનાવવા લાગે છે. શિયાળો આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ છે. એવો શિયાળુ ખોરાક લેવો જોઇએ કે જેથી ઉનાળા અને ચોમાસાની ઋતુઓમાં પણ શારીરિક સુખાકારી જળવાઈ રહે.
શિયાળામાં વસાણા ખાઇને રહો ફીટ
વસાણાં ખાવાની પણ હોય છે રીત
શિયાળો એટલે હેલ્ધી રહેવાની સિઝન
શિયાળાની ઋતુમાં લોકો અડદિયા, ખજૂર પાક, મેથી પાક જેવા વસાણાં બનાવીને નિયમિત ખાતા હોય છે. શિયાળાની ઋતુમાં આ વસાણાંનું સેવન કરવાથી શરીરમાં સ્ફ્રૂતિ આવે છે સાથે જ ઠંડીથી રક્ષણ પણ મળે છે. મેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મેથી એક એવી વસ્તુ છે જે શરીરને રોગ મુક્ત કરે છે. મેથી ખાવામાં કડવી હોય છે પરંતુ તેના ગુણ મીઠા હોય છે. મેથીનો પાક બનવાવામાં આવે તો તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. હવે ઘણા લોકો વસાણા બહારથી લેવાનું પસંદ કરે છે. હજુ પણ જેના ઘરમાં વડીલો છે તેઓ તો આજે પણ જાતે જ વસાણાં બનાવે છે.
• મરી, સૂંઠ, તજ, લવિંગ, તેજાના વગેરે જેવાં ઔષધિય તત્ત્વોના ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુ પાક તરીકે ઓળખીએ છીએ.
• શિયાળાના ત્રણ મહિનામાં સુખડી ખાવી આયુર્વેદના મતે શરીર માટે સારી છે અને સુખડીમાં ગોળ અને ઘીનું પ્રમાણ વધારે રાખવું જોઇએ. જેથી નાનાં બાળકોને ઠંડીથી રક્ષણ મળે જ પરંતુ એ સિવાય પણ બીજાં વિટામિન મળી રહે છે.
• શિયાળા દરમિયાન સૌથી વધુ ડિમાન્ડ સાલમપાકની રહે છે. કારણ કે સાલમપાક આયુર્વેદિક દૃષ્ટિએ શરીર માટે ખૂબ જ સારો છે. સાલમપાકમાં વિવિધ તેજાનાની સાથે કેસર પણ હોય છે. જે શિયાળામાં ઠંડીની સામે રક્ષણ આપે છે અને બોડી ટેમ્પરેચર જળવાઇ રહે છે.
• મેથી પાક, ગુંદર પાક, ખજૂર પાક, અડદિયાંનું સેવન પણ શિયાળમાં લાભદાયી પુરવાર થઇ શકે છે. આ ઉપરાંત કચરિયું, તલની ચીકી, તલ પાક, મગફળી પાક, દાળિયા પાક, તલ-મમરાના લાડુ, કાટલું, બત્રીસું
વસાણું પણ હેલ્થ માટે લાભદાયી સાબિત થાય છે.
• ચીકી મુખ્યત્વે સિંગદાણા, તલ અને દાળિયાની બને છે. ચીકીમાં મોટા ભાગે ગોળ ઉમેરાય છે. ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, દ્રાક્ષ, ખજૂરની ચીકીનું સેવન પણ શિયાળામાં લાભદાયી બને છે.