બિન અનામત સમિતિના આગેવાનોએ સ્વર્ણીમ સંકૂલ ખાતે 1-8-18ના ઠરાવ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અંદાજિત 2થી અઢી કલાક સુધી ચાલી હતી. સરકારે કેટલાક પ્રતિનિધીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં સરકારના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ગાંધીનગર ખાતે સરકાર અને બિન અનામત વર્ગની બેઠક
1-8-2018 અંગેના ઠરાવને લઇને ચર્ચા થઇ હતી
પ્રદીપસિંહ જાડેજા અને DyCM નીતિન પટેલ પ્રતિનિધીઓને મળ્યા
LRD ભરતી વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાયો છે. 1-8-2018 અંગેના ઠરાવને લઇને ચર્ચા થઇ હતી. બિન અનામત વર્ગના લોકોએ તેમના સૂચનો રજૂ કર્યા હતા. CMના સૂચન બાદ નીતિન પટેલ અને પ્રદિપસિંહે બેઠક કરી હતી.
પ્રદીપસિંહ જાડેજા અને DyCM નીતિન પટેલ પ્રતિનિધીઓને મળ્યા હતા. આશરે 2 કલાક સુધી પ્રતિનીધીઓએ ચર્ચા કરી હતી. આ બેઠકમાં બિનઅનામત વર્ગને અન્યાય ન થાય તે માટે ચર્ચા થઈ હતી. પ્રતિનિધીઓએ બિનઅનામત વર્ગની રજૂઆતો DyCM નીતિન પટેલને જણાવી હતી. મહત્વનું છે કે, આગામી સમયમાં વધુ એક વખત બેઠકનું આયોજન થશે. શુક્રવારે CM રૂપાણી સાથે નીતિન પટેલ બેઠક કરશે. બિન અનામત વર્ગના પ્રતિનિધિ સાથે થયેલી ચર્ચાની જાણ CMને કરાશે.
આ પ્રતિનિધિઓ સાથે સરકારે કરી ચર્ચા
આ બેઠકમાં ભરત રાવલ, એ.કે. પટેલ, રાજ શેખાવત, પૂર્વીન પટેલ, અમિત દવે, દિનેશ બાંભણીયા, રમજૂભા જાડેજા(સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચેના મધ્યસ્થી), યજ્ઞેશ દવે, વરૂણ પટેલ સહિતના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા.
પ્રતિનિધીઓએ કહ્યું દરેક વર્ગના દીકરા-દીકરીઓને સરકારી નોકરીનો લાભ મળેઃ DyCM
બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, બિન અનામત જ્ઞાતિઓના આગેવાનો સાથે ચર્ચા કરવા માટે મને અને ગૃહમંત્રીને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. હાલ જે LRD ભરતી બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે બિન અનામત જ્ઞાતીઓએ એવું જણાવ્યું હતું કે, સરકાર અમારી માંગણીઓ સાંભળે. જેને લઇને અમે પ્રતિનિધીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં વિવિધ જ્ઞાતિઓના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. મારી સાથે અધિકારીઓ અને સિનિયર અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધીઓએ આ ચર્ચામાં જૂદા જૂદા એંગલથી રજૂઆત કરી છે. તેમણે પોતાની લાગણી અને માંગણી વ્યક્ત કરી છે. જેમાં તેમની મુખ્ય માંગ હતી કે દરેક વર્ગના દીકરા-દીકરીઓને સરકારી નોકરીઓનો લાભ મળે. સરખી રીતે તમામને નિયમો લાગૂ પડે. આ હોદ્દેદારોએ એવું પણ કહ્યું છે જો જરૂર પડે તો બીજી વખત પણ ચર્ચા કરીશું.
વધુમાં DyCMએ જણાવ્યું હતું કે, જે નક્કી થશે સરકારમાં તે પ્રમાણે થશે. આ નિર્ણય મારે કે અમારે કરવાનો નથી. આ નિર્ણય મુખ્યમંત્રી કક્ષાનો નિર્ણય છે. આ બધુ કરવાની સાથે સુમેળ ભર્યું વાતાવરણ જળવાય રહે. આના કેટલાક વિકલ્પો પર પણ અમે કેટલીક ચર્ચા કરી છે. આ મામલે અમે મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરીશું.
બેઠક પૂર્ણ થયા બાદ વરૂણ પટેલની પ્રતિક્રીયા
બેઠક બાદ વરૂણ પટેલે કહ્યું હતું કે, આજની બેઠકમાં કોઈ નિર્ણય નહીં, માત્ર રજૂઆતો જ થઈ છે. સરકારે તમામ રજૂઆતો સાંભળી છે. પરિપત્રમાં ફેરફાર થાય તો વિશ્વાસમાં લેવાની રજૂઆત થઈ છે. ટેકનિકલ અને લીગલ બાબતોની અધિકારીઓ સાથે ચર્ચા થશે.
દિનેશ બાંભણીયાએ કહ્યું- અમારૂ આંદોલન ચાલુ જ રહેશે
દિનેશ બાંભણીયાએ આ બેઠક બાદ જણાવ્યું હતું કે, અમારૂ આંદોલન ચાલુ જ રહેશે. સરકાર તરફથી જવાબ ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પરિપત્રમાં ફેરફાર અમને વિશ્વાસમાં રાખીને કરવામાં આવે. તો પ્રતિનિધીએ જણાવ્યું કે પરિપત્રમાં ફેરફારએ રાજ્ય કે સમાજના હિતમાં નથી.