કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મુદ્દે રાજ્યસભામાં વોટિંગ થયુ. જેમાં સરકારના સમર્થનમાં 125 મત જયારે વિરોધમાં 61 મત પડ્યા. હવે લોકસભામાં પણ જમ્મુ-કશ્મીર પુનર્ગઠન બીલ પર ચર્ચા થશે અને ચર્ચા બાદ મતદાન થશે. આ બીલ પર ચર્ચા કરતા અમિત શાહે પડકાર ફેંકતા કહ્યું કે જયાં સુધી આ કલમ નહીં હટે ત્યાં સુધી કશ્મીરનો વિકાસ શક્ય નથી.
જમ્મૂ-કશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવાઈ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બીલ રાજ્યસભામાં પાસ થઇ ગયું છે. ત્યારે રાજ્યમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આજે ઐતિહાસિક નિર્ણય થયો છે. કશ્મીરમાં 370 અને 35A દૂર કરવાનો નિર્ણય મહત્વનો છે. ગંભીર ચર્ચા વિચારણા બાદ રાજ્યસભામાં આ પ્રસ્તાવ પાસ થયો છે.
વધુમાં તેમણે કહ્યું કે, કેટલાક પક્ષો કે જે NDAનો ભાગ નથી તેમણે પણ સમર્થન આપ્યું છે. 70 વર્ષમાં જમ્મુ કાશ્મીરના નામે કેટલાક લોકોએ આતંકવાદ ફેલાવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં અસલામતિની ભાવના હતી. જમ્મુ કાશ્મીરમાં કેટલાક લોકો આતંકવાદીઓને નાણાકીય મદદ કરતા હતા. જમ્મુ કાશ્મીરમાં અબજો રૂપિયાનો ખર્ચો વિકાસના બદલે સુરક્ષામાં કરાતો હતો. બધી સમસ્યાઓનું નિરાકરણ એક માત્ર કલમ 370 દૂર કરવી હતી. પાછલી સરકારોએ વોટબેંકની લાલચમાં દેશની સુરક્ષાને જોખમમાં મુકી હતી. બિલથી આખા દેશના લોકોમાં આનંદનો માહોલ છે. પાકિસ્તાની-આતંકવાદીઓની ઘુસણખોરીમાં ઘટાડો થશે.
સરકારના આ નિર્ણયને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આવકાર્યો છે. આ મામલે વિજય રૂપાણીએ ટ્વીટ કર્યુ હતું કે, કાશ્મીર ભારતનો એક મુકુટ છે. આજના દિવસે એક મહત્વપૂર્ણ અધ્યાય બનશે. સાથે જ તેમણે જણાવ્યુ હતું કે, આ કલમ હટાવીને શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ અપાઈ છે.