ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નદી-સરોવર અને ડેમોમાં નવા નીરની આવક
ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ
નર્મદા નદી-ડેમમાં પાણીની આવક
વાસણા બેરેજના બે દરવાજા ખોલાયા
ગુજરાતમાં વરસાદની રેલમછેલ જોવા મળી રહી છે. મેઘો ધોધમાર વરસતા નદીઓ, ડેમ ઓવરફ્લો થયા છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવાનીરની આવક જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં આજે મહત્વના ડેમો અને નદીઓની શું સ્થિતિ છે તે વિશે જાણીએ.
સંત સરોવરમાં પાણીની આવક
ગાંધીનગર સ્થિતિ સાબરમતી નદી પર બાંધેલા સંત સરોવર ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. પરિણામે ડેમના બે દરવાજા ખોલવાની ફરજ પડી. બે વર્ષ બાદ સંત સરોવરમાં પાણીની આવક થવા પામી છે. ડેમમાંથી 1 હજાર 800 ક્યુસેક પાણીની આવક થવા પામી. મહત્વનું છે કે ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર ઇન્દ્રોડા ગામ પાસે સંતસરોવરરૂપી ડેમ બનાવવામાં આવ્યો છે. 55.55 મીટરની ઉંચાઇ ધરાવતાં 21 દરવાજા બાંધીને અહીં નદીના પટમાં પાણી સંગ્રહ કરવાની યોજના છે.
વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા
તો આ તરફ અમદાવાદમાં વરસાદ થતા વાસણા બેરેજમાં પાણીની આવક વધવા પામી છે. વાસણા બેરેજમાં 3 હજાર 500 ક્યૂસેક પાણીની આવક થવા પામી જેમાંથી 1 હજાર 400 ક્યૂસેક પાણી સંત સરોવરમાંથી છોડવામાં આવ્યું. પરિણામે હાલ વાસણા બેરેજના 2 ગેટ ખોલી 845 ક્યૂસેક પાણી છોડાયું છે. ઉલ્લેખનીય છે કે મોડીરાતે વરસાદ થતા બેરેજના 7 ગેટ ખોલાયા હતા. વાસણા બેરેજના પાણીની સપાટી 134 ફૂટ પહોંચી હતી.
તવાડેમ ઓવરફ્લો
તો આ તરફ નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદપુરમનો તવા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં તવા ડેમના 13 દરવાજા 16 ફૂટ ખોલાયા છે. તવા ડેમમાંથી 3 લાખ 4 હજાર ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડવામાં આવશે. 45 કલાકમાં નર્મદા ડેમમાં પાણી છોડાતા નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઇ શકે છે.
નર્મદા ડેમમાં પાણીની આવક
તો આ તરફ નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થવા પામ્યો છે. ડેમમાં 3.33 લાખ ક્યૂસેક પાણીની આવક થવા પામી છે. ડેમની સપાટી 134.93 મીટરે પહોંચી છે. ડેમના 23 દરવાજા 2.25 મીટર ખોલી પાણી છોડાયુ. નર્મદા નદીમાં 3 લાખ 95 હજાર ક્યૂસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ઇન્દિરા સાગર ડેમમાંથી પણ 4.08 લાખ ક્યૂસેક પાણી છોડાયુ. ડેમના 12 દરવાજા 3.50 મીટર ખોલી પાણી છોડાયુ.
નર્મદા નદીની જળસપાટી વધી
તો આ તરફ નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા ભરૂચ નજીક નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે. સવારે 9 વાગ્યે ગોલ્ડન બ્રિજ નજીક જળસ્તર 19.5 ફૂટ નોંધાયુ છે. સવારે 6.30 વાગ્યે જળસપાટી 17 ફૂટ નોંધાઇ હતી. નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે જળસ્તરમાં વધારો થયો છે. જો કે
નર્મદા નદી હજુ ભયજનક સપાટીથી 5 ફૂટ નીચે વહી રહી છે