મહેસાણાની દૂધસાગર ડેરીમાં મોલાસીસ કૌભાંડ મામલે મહેસાણા સેશન્સ કોર્ટે નીતિન સંચેતીની વચગાળાની જામીન અરજી ફગાવી છે. નીતિને પોતાના પિતાનું અવસાન થતા ધાર્મિક વિધિ માટે જામીનની માગણી કરી હતી પરંતુ સરકારી વકીલની દલીલના આધારે નીતિને પોતાની અરજી પરત ખેંચી છે. સરકારી વકીલની દલિલ હતી કે સેશન્સ કોર્ટેને વચગાળાના જામીન આપવાનો પાવર નથી. જેને લઈને અરજી પરત ખેંચવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરીમાં મોલાસીસ કૌભાંડ મામલે ડેરીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને મેનેજર સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ મામલે પોલીસે ડેરીના ડિરેક્ટર એન.પી.સંચેતી અને મેનેજર ગોસ્વામીની ધરપકડ કરી હતી. મહત્વનુ છે કે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્ને અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જ્યાર બાદ ફરિયાદના આધારે પોલીસે બન્ને અધિકારીઓની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
ફેક્ટરીના મેનેજર જગુદાણ સાગરદાણ સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી. વર્ષ 2015માં ઊંચા ભાવે મોલાસીસ ખરીદવાના મામલે ફરિયાદ કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા રજીસ્ટારે ફરિયાદ નોંધાવી હતી. ડિરેક્ટર એન.પી. સંચેતી અને મેનેજર મનોજ ગોસ્વામી સામે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.