ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારને લઇને ચારેતરફ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ દિવાળીના તહેવારને લઇને અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. માઇ મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હાલ તહેવારોના દિવસોમાં ભક્તો રાત્રે 11 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે.
દિવાળીમાં અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરાયો
રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે
ભક્તો માટે 32 હજાર કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવશે
દિવાળીના તહેવારને ધ્યાનમાં લઇને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોને સરળતા રહે તે માટે રાત્રે 11 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આગામી દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચે છે. ત્યારે હાલ રાજ્યમાં કોરોના વાયરસની મહામારીને નજરમાં રાખતા ટ્રસ્ટ દ્વારા મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો છે.
આ સાથે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે 32 હજાર કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવશે તેવી પણ માહિતી આપી છે. આ સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોના વાહનો માટે નિઃશુલ્ક વાહન પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અંબાજી મંદિરમાં દર્શન માટે સરકારના કોવિડ-19 નિયમોનું પાલન કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે. ભક્તોને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ આપવામાં આવશે.