રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આગામી ઓકટોબર-નવેમ્બર-2020એ યોજાશે. અમદાવાદની ચૂંટણી રાજ્યનાં રાજકારણ માટે ભારે મહત્ત્વની રહી છે.
કમિશનર બદલવાનો મામલા પર પાડી દેવાયો પડદો
ભાજપના હોદ્દેદારોએ હાઇકમાન્ડને બદલી માટે કરી હતી વિનંતી
હાઇકમાન્ડે સમાધાન કરી લેવાની કરી તાકિદ
જોકે ભાજપનું છેક 2005 થી અમદાવાદ કોર્પોરેશનમાં શાસન છે. લગભગ 15 વર્ષ જૂના અવિરત શાસનના કારણે ભાજપ હાઇકમાન્ડમાં પ્રજાની એન્ટી ઇન્કબન્સીનો રોષ બનવું ન પડે તેવો છાનો ડર જોવા મળે છે. આ સંજોગોમાં મ્યુનિ. કમિશનર વિજય નહેરાને બદલવાની કેટલાક હોદ્દેદારોની ઉગ્ર લાગણી-માગણી પર ઠંડું પાણી રેડાઇ ગયું છે. એટલે કે આ વિવાદ પર પડદો પાડી દેવાયો છે.
'મંગળવારી' બેઠક જૂથવાદના કારણે 10 મહિનાથી ન યોજાઇ
મ્યુનિસિપલ ભાજપના પ્રભારીઓ સાથે મ્યુનિ. ભાજપના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, દંડક તેમજ વિવિધ કમિટીના ચેરમેન-ડેપ્યુટી ચેરમેનની દર મંગળવારે યોજાતી 'મંગળવારી' બેઠક પક્ષના જૂથવાદથી છેલ્લા દસ મહિનાથી યોજાઇ ન હતી. જોકે ગઇ કાલે 'મંગળવારી' યોજાતાં તાજેતરમાં નવા પશ્ચિમના રોડનાં કામોમાં કમિશનર અને ભાજપના કોર્પોરેટરો વચ્ચેના વિવાદ અંગે પ્રભારીઓનું વલણ ચર્ચાસ્પદ બન્યું હતું.
ભાજપના હોદ્દેદરોએ પ્રભારી સમક્ષ કમિશનરને બદલવાની કરી માગણી
કમિનશર વિજય નહેરાએ જોધપુર વોર્ડના રોડના કામોની સમીક્ષા વખતે વેજલપુરના એક કોર્પોરેટરને સ્ટુપીડ કહેવાનો આક્ષેપ ભાજપના હોદ્દેદારોએ કરતા વિવાદ વકર્યો હતો અને કમિશનર બેઠક છોડી જતા રહ્યા હતા. ત્યારબાદ ભાજપના હોદ્દેદરોએ પ્રભારી સમક્ષ કમિશનરને બદલવાની માગણી કરી હતી. ભાજપ હાઇકમાન્ડએ 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી આ મામલે 15 દિવસમાં વલણ સ્પષ્ટ કરવાનું આશ્વાસન હોદ્દેદારોને આપ્યું હતું.
સમાધાન પર ભાર મુકવાની કરાઇ તાકીદ
જોકે ગઇકાલની મંગળવારીમાં પ્રભારીઓ સુરેન્દ્ર પટેલ, જગદીશ પંચાલ અને આઇ.કે. જાડેજાએ વહીવટી તંત્ર સાથે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી સંઘર્ષને બદલે સમાધાન પર ભાર મૂકવાની કડક તાકીદ કરી હતી. એટલે કે 'કમિશનર હટાવો'ની માગણી પર પ્રભારીઓએ 'મંગળવારી'માં પૂર્ણ વિરામ મૂકતા કેટલાક 'બોલકા' હોદ્દેદારોની બોલતી બંધ થઇ ગઇ હતી.