વળતરની જાહેરાતથી દિલ્હી સરકારે પીછેહઠ ન કરવી જોઈએઃ હાઈકોર્ટ
મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાના વળતરની કરી હતી જાહેરાત
કોરોનાને કારણે મૃત્યુ પામેલા દિલ્હી પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોને એક કરોડ રૂપિયાના વળતરની રકમ ચૂકવવાનો નિર્દેશ આપતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે વળતરની રકમ માટે કરવામાં આવેલી સ્પષ્ટ જાહેરાતથી દિલ્હી સરકારે પીછેહઠ ન કરવી જોઈએ. જસ્ટિસ પ્રતિબા એમ સિંહની ખંડપીઠે મૃતકની પત્નીની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, અધિકારીઓ સાથેની પ્રેસ કોન્ફરન્સની ક્લિપિંગથી સ્પષ્ટ થાય છે કે દિલ્હી સરકારે મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.
કોરોનાથી ચાલુ ફરજે થયું હતું નિધન
સગર્ભા અરજદારના પતિનું દીપ ચંદ બંધુ હોસ્પિટલમાં કોરોનાથી ચાલુ ફરજે 5 મે, 2022ના રોજ નિધન થયું હતું. કોર્ટે કહ્યું કે વર્તમાન કેસમાં એક સહાનુભૂતિપૂર્વક વિચાર કરવાની જરૂર હતી અને વળતરની ચૂકવણીમાં વધુ વિલંબ ન કરી શકાય.
15 જાન્યુઆરીએ રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું
બીજી બાજુ દિલ્હી સરકારે કહ્યું કે આ સંબંધમાં નિર્ણય આરોગ્ય મંત્રી દ્વારા મુખ્યમંત્રીની મંજૂરીથી લઈ શકાય છે. આના પર ખંડપીઠે કહ્યું, 13 માર્ચ, 2020ના કેબિનેટ નિર્ણય હેઠળ આ મામલાને મંત્રીઓને સમક્ષ મુકવો જોઈએ. સાથે જ કોર્ટે આ પણ નિર્દેશ આપ્યો કે અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ 15 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવે.
અરજીમાં અરવિંદ કેજરીવાલના ટ્વીટનો કરાયો છે ઉલ્લેખ
અરજીમાં મૃતકની પત્નીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના પતિના મૃત્યુને લઈને 7 મે, 2020ના રોજ ટ્વીટ કર્યું હતું. જેમાં મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મૃતકની પત્નીએ કહ્યું કે, ત્યારથી તે વળતર માટે આમ તેમ ભટકી રહી છે.