આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે. રાહુલ ગાંધી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવશે. તેઓ આજે બપોરે 3 વાગે વલસાડના ધરમપુરમાં જન આક્રોશ રેલીને સંબોધશે. ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં રાહુલ ગાંધીની જનસભાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ સભામા 1 લાખથી વધુ લોકો ભેગા થવાનો કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે. મહત્વનું છે કે લાલ ડુંગરી મેદાન કોંગ્રેસ નસીબદાર માનવામાં આવે છે. કારણ કે જ્યારે જ્યારે કોંગ્રેસ સત્તાથી દૂર ગઈ છે અને તેના પછીની ચૂંટણીમાં આ મેદાનેથી સભા સંબોધે છે ત્યારે જીત મેળવે છે. અગાઉ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ અહીંથી સભા સંબોધી હતી અને ત્રણેય વખતે કોંગ્રેસે કેન્દ્રમાં સત્તા મેળવી હતી.
વલસાડના ધરમપુરમાં આજે યોજાનારી રાહુલ ગાંધીની મહાસભા પહેલા કોંગ્રેસના કાર્યરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીના માસ્ક પહેરી ડુંગરી મેદાનમાં આવી પહોંચ્યા હતા. અને અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો.
ઈતિહાસ સાક્ષી છે
સાચી વાત છે વલસાડ જિલ્લાનું ધરમપુર દેશના રાજકારણ અને રાજકીય ઈતિહાસની દ્રષ્ટીએ અતિ મહત્વનું છે. તેમાંય ધરમપુરનું લાલ ડુંગરી મેદાન દેશના રાજકારણમાં શુભ સ્થળ સાબિત થઇ રહ્યું છે. ખાસકરીને કોંગ્રેસ માટે ધરમપુરનો આદિવાસી બેલ્ટ હંમેશા શુકનવંતો સાબિત થયો છે. કોંગ્રેસનો ઇતિહાસ જોઈએ તો 1980માં ઇન્દિરા ગાંધીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત અહીંથી જ કરી હતી. સત્તામાં પરત ફર્યા હતા. ત્યારબાદ 1984માં રાજીવ ગાંધીએ પણ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ ધરમપુરના આ જ લાલડુંગરી મેદાનથી કર્યા હતા. પરિણામ પણ કોંગ્રેસના પક્ષમાં રહ્યા હતા. આ સિલસિલો આગળ વધ્યો સોનિયા ગાંધીએ પણ 2001માં કિસાન રેલીને લાલ ડુંગરી મેદાનથી સંબોધન કર્યુ હતું. વલસાડની 5 વિદ્યાસભાની બેઠકમાંથી 4 બેઠક કોંગ્રેસને ફાળે આવી હતી.
ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીએ ધરમપુરથી લોકસભા ચૂંટણીપ્રચારના શ્રી ગણેશ કર્યા હતા
વર્ષ 2004માં પણ સોનિયા ગાંધીએ ધરમપુરથી લોકસભા ચૂંટણીપ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ફળ સ્વરૂપ સળંગ 10 વર્ષ સુધી કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. આ વાતને કોઈ ભલે યોગાનુયોગ ગણે પરંતુ ઈતિહાસ એ વાતનો સાક્ષી રહ્યો છે. ઈતિહાસની તવારિખ જોઈએ તો 1980માં ઇન્દિરા ગાંધીની સભા ધરમપુરમાં થઈ હતી. તે વખતે વલસાડ સીટ પર કોંગી ઉમેદવાર ઉત્તમભાઈ પટેલનો વિજય થયો હતો. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી. જેમાં ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા હતા.
રાજીવ ગાંધીની પ્રથમ ચૂંટણી સભા પણ ધરમપુરમાં થઈ હતી
વર્ષ-1984 રાજીવગાંધીની પ્રથમ ચૂંટણી સભા પણ ધરમપુરમાં થઈ હતી તે વખતે પણ વલસાડ સીટ પર કોંગી ઉમેદવાર ઉત્તમભાઈ પટેલનો વિજય થયો હતો. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી જેમાં રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા હતા. વર્ષ-2004ની વાત કરીએ તો સોનિયા ગાંધીની સભાનો આગાઝ પણ વલસાડના ધરમપુરથી કર્યો હતો. ત્યારે પણ વલસાડ સીટ પર કોંગી ઉમેદવાર કિશન પટેલનો વિજય થયો હતો અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી. જેમાં ડૉ. મનમોહનસિંહ પ્રધાનમંત્રી બન્યા હતા.
ત્યારે હવે 2019 માટે રાહુલગાંધી પણ પોતાના માતા-પિતા અને દાદીના કદમ પર 2019 લોકસભાનું રણશીંગુ ફૂંકવા માટે અને વર્કિંગ કમિટીની બેઠક માટે 14 તારીખે ધરમપુરના લાલડુંગરીના મેદાનમાં આવી રહ્યા છે. ત્યારે કોંગી અગ્રણીઓમાં પણ આ ઐતિહાસિક મેદાન પર થનારી જાહેર સભાને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ મહિનાના અંતમાં કોંગ્રેસની મહત્વની બેઠક અમદાવાદમાં
ગુજરાતમાં ફ્રેબુઆરી માસના અંતિમ સપ્તાહમાં કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક મળવા જઈ રહી છે. અમદાવાદમાં કોંગ્રેસ વર્કીંગ કમીટીની આ બેઠક યોજાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. મહત્વનું છે કે ગુજરાતની કવાયતને વધુ તેજ કરવા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી સહિત પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ આ બેઠકમાં હાજરી આપશે અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.