ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં SVP હોસ્પિટલમાં 46 વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 53 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ છે. ત્યારે સમગ્ર દેશમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે. લોકોને ઘરમાં રહેવાની સૂચના અપાઇ છે. છતાં પણ કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે આ અંગે DGP શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી.
ગુજરાતમાં કોરોના વાયરસથી 4ના મોત
રાજ્યમાં કુલ 53 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ
લૉકડાઉનની સ્થિતિ પર ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કરીશું કાર્યવાહીઃ શિવાનંદ ઝા
DGP શિવાનંદ ઝાએ કહ્યું કે, યુવકોને અપીલ છે ખોટા બહાના બતાવી બહાર ન નિકળો. નહિતર પોલીસ કડક કાર્યવાહી કરશે. પોલીસ ગુનો દાખલ કરશે તો કારર્કિદી પર અસર થઇ શકે છે. ગુનો દાખલ થશે તો પાસપોર્ટ લેવામાં તકલીફ પડી શકે છે. તમામ યુવકો ઘરમાં જ રહે. હોમ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોને પોલીસ ચેક કરી રહી છે.
ડ્રોન દ્વારા સોસાયટી પર નજર: DGP
વધુમાં તેમણે કહ્યું કે, સોસાયટીના કોમન પ્લોટમાં લોકો ભેગા થવાની ફરિયાદ આવી છે. કોમન પ્લોટમાં લોકોને ભેગા ન થવા અપીલ કરી છે. ડ્રોન દ્વારા સોસાયટી પર નજર રાખી રહ્યાં છીએ. જે પણ વ્યક્તિ બહાર રખડતો નજરે પડશે અથવા ટોળુ દેખાશે તો તેમની ઓળખ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયામાં ચાલી રહેલ અફવા અંગે કહ્યું કે, સોશિયલ મીડિયામાં અફવા ફેલાવશો તો ગુનો દાખલ કરાશે. દાહોદ-2 અને ભાવનગર રેન્જમાં 4 ગુના દાખલ કરાયા છે. IPS એસોસિએશને રાહત ફંડમાં એક દિવસનો પગાર આપશે.