આપણા ત્યાં જુદા-જુદા ધાર્મિકા કાર્યો માટે અલગ-અલગ જગ્યાઓનુ મહત્વ છે. કેટલાક દેવસ્થનોએ કરવામાં આવતી ખાસ પૂજા દ્વારા જે તે કાર્ય સિદ્ઘ થાય છે તેવું શાસ્ત્રોમાં પ્રમાણ મળે છે. સુખ-સમુદ્ઘિ માટે દેવતાઓ સાથે પિતૃઓની પણ કૃપા હોવી જરૂરી છે. ત્યારે દેશમાં ઘણી એવી જગ્યા છે જ્યાં પહોંચીને પિંડદાન અને તર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને સર્વ સિદ્ઘિ મળે છે. આવું જ એક સ્થળ એટલે ઉજ્જૈન પાસે આવેલું સિદ્ઘનાથ તીર્થ છે. આ જગ્યાને પ્રેતશીલા તીર્થ પણ કહેવામાં આવે છે.
પ્રેતશીલા તીર્થ કહેવા પાછળનો ઇતિહાસ છે. અહીં પિંડદાનથી પ્રેતયોનીને પ્રાપ્ત પિતૃઓની મુક્તિ થાય છે. સમગ્ર ભારતમાંથી અહીં લોકો તર્પણ માટે આવે છે. અહીં પૂજા તર્પણ માટે 700 જેટલા બ્રાહ્મણો વિધિ વિધાન કરાવે છે.
સિદ્ધનાત તીર્થ ક્ષિપ્રા નદી પર આવેલું છે. ઉજ્જૈન પાસે આવેલ ભૈરવગઢ ક્ષેત્રમાં આ તીર્થ આવેલ છે. આ સ્થાન પર એક વડનું વિશાળ ઝાડ છે. આ વડને સિદ્ઘવડ કહે છે. જે રીતે પ્રયાગ અને ગયામાં અક્ષય વડ છે તેમ ઉજજૈન ક્ષેત્રમાં સિદ્ઘવડ છે. માન્યતા છે કે સ્વંય દેવી પાર્વતીએ આ ઝાડને ઉગાડ્યુ હતુ. ધાર્મિક ગ્રંથો અનુસાર આ સ્થળે જ ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું મુંડન પણ થયું હતુ. સ્કંદ પુરાણમાં અવંતિકા ખંડમાં આ તીર્થ ક્ષેત્રનું વર્ણન મળે છે.
અહીં આવેલ શિલાલેખો પરથી ખબર પડે છે કે આ તીર્થને નષ્ટ કરવા માટે મુઘલ શહેનશાહે ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. મુઘલોએ આ ઝાડને મૂળથી કાપી નાખ્યુ હતુ અને આ જગ્યા પર લોખંડના પતરા જડી દીધા હતા. પરંતુ વડલો તે લોખંડના પતરાને તોડીને ફરી ઉગી નીકળ્યો હતો. આ ચમત્કાર જોઇને મુઘલ સરદારો ડરીને ભાગી ગયા હતા.
અમદાવાદ-ભોપલ રેલવે લાઇન પર સ્થિત ઉજજૈન એક પવિત્ર નગરી છે અહી ટ્રેન માધ્યમથી ખૂબ સહેલાઇથી પહોંચી શકાય છે. તેમજ અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ ઈંદોર છે. જે અહીંથી 55 કિમી દૂર છે તેમજ મધ્યપ્રદેશના તમામ મુખ્ય શહેરો ઉજ્જૈન સાથે જોડાયેલ છે.