એક સમયે દેશમાં રિટેલ કિંગ કહેવાતા ફ્યુચર ગ્રુપના અધ્યક્ષ કિશોર બિયાની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને પોતાનું સંપૂર્ણ સામ્રાજ્ય વેચવા જઈ રહ્યા છે.
કિશોર બિયાનીનું ફ્યુચર ગ્રુપ ફ્યુચર રિટેલને વેચીને કંપનીના વધતા લેણાંની ચુકવણી માટે મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ સાથે ચર્ચા કરી રહ્યા છે. બંને કંપનીઓએ વિવિધ નિયમો અને શરતો પર સમજૂતી કરી છે અને ટૂંક સમયમાં 24,000-27,000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કરી શકે છે. આ ડીલથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી રિટેલ ગ્રુપના કિંગ બની જશે.
આ ડીલ રિલાયન્સ રિટેલને ફેશન, ગ્રોસરીના વ્યવસાયનો સૌથી મોટો ખેલાડી બનાવશે અને આ સાથે બિયાની રિટેલ સેક્ટર માંથી બહાર નીકળી જશે. દેવાની કટોકટીમાં ફસાયેલા કિશોર બિયાનીની સ્થિતિ આમાંથી સમજી શકાય છે કે જો કોવિડ 19ને કારણે જો સરકારે દેવા માફી અને નવા ઇન્સોલ્વન્ટ કેસને સસ્પેન્ડ ન કર્યા હોટ તો ફ્યુચર ગ્રુપ કંપની અત્યારે ઇનસોલ્વન્સી પ્રક્રિયાનો સામનો કરી રહી હોત. ચાલો જાણીએ કેવી રીતે કિશોર બિયાનીને મુકેશ અંબાણીને પોતાનો ધંધો વેચવાની ફરજ પડી…
સતત વધતું રહ્યું દેવું
ફ્યુચર ગ્રૂપે છેલ્લા ઘણા વર્ષોથી સતત લોન લીધી છે. 31 માર્ચ 2019થી 30 સપ્ટેમ્બર 2019 સુધી ફ્યુચર ગ્રુપની લિસ્ટેડ કંપનીઓનું દેવું 10,951 કરોડ રૂપિયાથી વધીને 12,778 કરોડ રૂપિયા થઈ ગયું હતું. તેમની પાસે અમુક લેણાં ચૂકવવા માટે તો માત્ર માર્ચ સુધીની ડેડલાઈન હતી.
પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પગલાંઓથી ફ્યુચર ગ્રુપને થોડી રાહત મળી. ફેબ્રુઆરી 2020 ના મધ્યમાં બિયાનીની દેવાની ચુકવણી કરવાની ક્ષમતા અંગે બજારમાં ચર્ચા શરૂ થઈ, જેના પછી કંપનીના શેર ઝડપથી ઘટવા લાગ્યા. ત્યારબાદ નાણાં ધીરનારાઓએ લોનના બદલામાં બિયાની પાસેથી વધુ શેરની માંગ કરવા લાગ્યા.
કોરોના કાળમાં બંધ થઇ ગયા ઘણા બધા સ્ટોર્સ
આ દરમિયાન કોરોના કટોકટીએ કંપનીને તેના દેવાને ચુકવવા માટે થોડો વધુ સમય આપ્યો. બીજી તરફ બિઝનેસ ખરાબ રીતે પ્રભાવિત થયો અને ઘણા બધા સ્ટોર્સ કંપનીએ બંધ કરવા પડ્યા.
કિશોર બિયાનીએ વિચારેલી યોજનાઓ ખોટી સાબિત થઇ
કિશોર બિયાની કોર રિટેલિંગમાં અતિ મહત્વાકાંક્ષી બની ગયા હતા. તેમણે easyday, nilgiris અને heritage જેવા નાઈબર હૂડ ફોર્મેટ સ્ટોર્સ પર ખૂબ ધ્યાન આપ્યું પણ તે સફળ થઈ શક્યા નહીં.
બિયાનીએ આ સાહસોમાં ભારે રોકાણ કર્યું હતું પરંતુ તે સફળ થયા નહીં. બિયાનીએ તેના 2000 કરોડ રૂપિયાના વ્યવસાયને 2021 સુધીમાં 20,000 કરોડ સુધી વધારવાની યોજના બનાવી હતી.
મેન ઓફ આઈડિયાઝ તરીકે જાણીતા કિશોર બિયાની પોતાના ઘણા આઈડિયા જમીન ક્ષેત્રમાં લાગુ કરવામાં નિષ્ફ્ળ ગયા. બિયાનીનો દેવા સાથે જૂનો સંબંધ છે. તેઓ ઉપર 2012માં પણ 12,000 કરોડનું દેવું થઇ ગયું હતું.