ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનો ભયજનક સ્થિતિ દૂર થઇ છે. ભયજનક સ્થિતિ ટળતા જનજીવન સામાન્ય બન્યું છે. રાજ્યના તમામ બંદરો પરથી ભયજનક સિગ્નલ હટાવવામાં આવ્યા છે. તમામ બંદરો પરથી 9 નંબરનું સિગ્નલ દૂર કરવામાં આવ્યુ છે. 9 નંબરનું સિગ્નલ હટાવી 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રોજી બંદર, દેવભૂમિ દ્વારકા, ઓખા, સલાયા અને વાડીનાર બંદર પરથી 9 નંબરનુ સિગ્નલ હટાવવામાં આવ્યુ છે.
સંકટના વાદળો વિખરાયા
આપને જણાવી દઇએ કે, ગુજરાત પર વાયુ વાવઝોડાનું સંકટ ઘેરાતા રાજ્ય સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી હતી, તો વળી દરિયાકાંઠે વસતા કેટલાક લોકોનું સ્થળાંતરણ પણ યુદ્ધના ધોરણ કરવામાં આવ્યું હતું. પરંતુ સદનસીબે વાવાઝોડું ફંટાઇ જતાં ગુજરાતની જનતાને તથા રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો હતો.
ત્યારે આજરોજ દરિયાના પાણી શાંત થતાં પવન ઓછો થતાં ભયજનક સ્થિતિ મુક્ત દરિયાકાંઠાના વિસ્તારો બન્યા હતા અને તમામ બંદરો પરથી 9 નંબરનું સિગ્નલ દૂર કરીને 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વવીટ કરીને વાયુ વાવાઝોડા સમયે ગુજરાતની મદદે ઉભા રહેનાર તમામનો આભાર માન્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, દેશના ગૃહમંત્રાલય, NDRF, કોસ્ટગાર્ડ, એરફોર્સ, હવામાન વિભાગ તથા રાજ્યની પોલીસનો આભાર. ખાસ કરીને તેમણે કેન્દ્ર સરકારનો પણ મદદ માટે આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાયુ વાવાઝોડાની આફત ટળતા રાજ્ય સરકાર તથા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે આજરોજ મુખ્યમંત્રીએ ગુજરાતની મદદે આવનાર તમામ લોકોનો આભાર ટ્વીટ કરીને માન્યો હતો.
બંદર ઉપર લગવામાં આવેલ સિગ્નલ શું સૂચવે છે.
1 નંબરનું સિગ્નલ વાવાઝોડાની ચેતવણી આપતું હોય છે.
2 નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થતાં માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે તે સૂચિત કરે છે
3 નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાને પગલે બંદર પર ભય દેખાડે છે.
4 નંબરનું સિગ્નલ બંદર ભયમાં છે એવું પરંતુ સાવચેતીનાં પગલા લેવા પડે એટલો ભય જણાઇ રહ્યો નથી.
5 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું દક્ષિણના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવા ફૂંકાવાનો સંકેત આપે છે.
6 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું ઉત્તરના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવાના અનુભવનો સંકેત આપે છે.
7 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું બંદર ઉપરથી પસાર થાય અને ભારે તોફાની પવન ચાલી શકે છે.
8 નંબરનું સિગ્નલ ભારે વાવાઝોડું બંદરને ક્રોસ કરી શકે જેથી તોફાની હવાના સંકેતો આપે છે.
9 નંબરનું સિગ્નલ જોરદાર વાવાઝોડું ઉત્તર દિશાથી કિનારો ક્રોસ કરીને બંદર ઉપર તોફાની હવાનો અનુભવ કરાવે ત્યારે લગાડવામાં આવે છે
10-નંબરનું સિગ્નલ ભારે જોરવાળું વાવાઝોડું બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે
11-નંબરનું સિગ્નલ ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.