આઇપીએલ ટૂર્નામેન્ટની અડધા ઉપરાંતની મેચ રમાઈ ચૂકી છે. હવે અહીં સ્પિનર અને મીડિયમ પેસર બોલર્સની બોલબોલા જોવા મળી શકે છે.
આવી જ પરિસ્થિતિમાં ત્રણ વાર આઇપીએલ ખિતાબ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) હરીફ ટીમો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે શાનદાર ફોર્મમાં રમી રહેલી દિલ્હી કેપિટલ્સે સીએસકેનો સામનો કરવાનો છે અને આજની મેચમાં ધોનીનો પડકાર શ્રેયસ ઐયર માટે આસાન નહીં હોય. ધોની સનરાઇઝર્સ સામે ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઊતર્યો છે. તેનો એ વ્યૂહ સફળ પણ રહ્યો હતો અને સીએસકે ટીમ જીતી હતી.
સીએસકે પાસે 4 શાનદાર સ્પિનર
માહી ધીમી થતી જતી પીચ પર એક અલગ જ કેપ્ટન સાબિત થાય છે. તે જાણે છે કે આવી પીચ પર શું કરવું જોઈએ. ટૂર્નામેન્ટ હવે એ જ તરફ આગળ વધી રહી છે, જ્યાં મોટા ભાગે ધીમી પીચ જોવા મળશે. આ સ્થિતિમાં ચેન્નઈ બાકીની ટીમ પર સવાર પણ થઈ શકે છે. સીએસકે પાસે રવીન્દ્ર જાડેજા, પીયૂષ ચાવલા, કર્ણ શર્મા, ઇમરાન તાહિરના રૂપમાં ચાર શાનદાર સ્પિનર છે. તાહિર હજુ સુધી એક પણ મેચ રમ્યો નથી, જ્યારે ડ્વેન બ્રાવો અને શેન વોટસન જેવા મીડિયમ પેસર પણ ધીમી પીચ પર ખતરનાક સાબિત થઈ શકે છે.
શારજાહની પીચ પર ટૂર્નામેન્ટની શરૂઆતમાં રન બનાવવા આસાન હતા. હવે આ પીચ ધીમી પડી ગઈ છે, જે ચેન્નઈ માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. શારજાહમાં છેલ્લી બેએક મેચમાં આ વાત સ્પષ્ટપણે જોવા પણ મળી છે.
શ્રેયસ ઐયર ગત મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો
દિલ્હી તરફથી શિખર ધવન, પૃથ્વી શો અને અન્ય બેટ્સમેન આ સ્થિતિ સામે કેવી રીતે કામ પાર પાડે છે એ જોવું રહ્યું. કેપ્ટન શ્રેયસ ઐયર ગત મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને એ મેચમાં શિખર ધવને કેપ્ટનશિપ સંભાળી હતી. મેચ બાદ ધવને કહ્યું હતું કે, ''ઐયરની ઈજા અંગે બાદમાં જાણવા મળશે.''
હજુ સ્થિતિ સ્પષ્ટ નથી અને જો આજની મેચમાં ઐયર ટીમની બહાર રહેશે તો દિલ્હી માટે એ એક મોટા ઝટકા સમાન હશે. દિલ્હી કેપિટલ્સ પહેલાંથી જ અમિત મિશ્રા, ઈશાંત શર્મા અને ઋષભ પંતની ઈજા સામે ઝઝૂમી રહી છે. અમિત અને ઈશાંત તો આઇપીએલમાંથી બહાર થઈ ગયા છે અને પંત હજુ ક્યારે મેદાનમાં પાછો ફરશે એ નક્કી નથી. આ સ્થિતિમાં ધવન, પૃથ્વી, અજિંક્ય, માર્ક્સ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, હેટમાયરની જવાબદારી વધી જશે.
દિલ્હી પાસે પણ આર. અશ્વિન અને અક્ષર પટેલ જેવા સ્પિનર્સ
ધીમી પીચનો ફાયદો ઉઠાવવા માટે દિલ્હી પાસે પણ આર. અશ્વિન અને અક્ષર પટેલ છે, જ્યારે ફાસ્ટ બોલિંગમાં કેગિસો રબાડા અને એનરિક નોર્ત્ઝેની જોડી શાનદાર પ્રદર્શન કરી રહી છે. તુષાર દેશપાંડેએ પણ ગત મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ડેબ્યૂ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી.
દિલ્હી માટે ચિંતાની વાત ફક્ત ઐયરની ઈજા અને તેના રિપ્લેસમેન્ટની છે. ચેન્નઈ અને દિલ્હી વચ્ચે આઇપીએલમાં કુલ ૨૨ મેચ રમાઈ છે, જેમાંથી ચેન્નઈએ ૧૫ અને દિલ્હીએ છ મેચ જીતી છે. છેલ્લી પાંચ મેચમાંથી ચેન્નઈએ ચાર મેચ અને દિલ્હીએ એક મેચમાં જીત હાંસલ કરી છે. વર્તમાન સિઝનમાં ૨૫ સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં દિલ્હીએ ચેન્નઈને ૪૪ રને માત આપી હતી.