આશ્ચર્યની વાત એ છે કે ભારતમાં હવે કોરોના વાઈરસના સંક્રમણની બહુ ચર્ચા થતી નથી અને ચર્ચા થાય છે તો પણ સકારાત્મક વાતો કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભારતમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે અને ભારતમાં રિકવરી રેટ એટલે કે સંક્રમિત દર્દીઓ સાજા થવાનો દર ૯૦ ટકા પર પહોંચી ગયો છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગઇ છે અને મૃત્યુદર પણ સતત ઘટી રહ્યો છે. વાસ્તવમાં આ આંકડા કેવા છે, શા માટે છે અને કયાંથી આવે છે તે સમજવા માટે કોઇ રોકેટ સાયન્સ નથી.
કોરોના મહામારીને લઇને મોટા સમાચાર
વાસ્તવમાં વાઇરસ ખતમ થવાનો નથી
વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો સૌથી મોટો પડકાર
આવી જ વાતો યુરોપમાં ચાલી હતી અને હવે ત્યાં ફરી વાર કોરોનાએ જબરદસ્ત ઉથલો મારતાં અને બીજી લહેર ચાલુ થઇ જતાં યુરોપના કેટલાય દેશોમાં હાહાકાર મચી ગયો છે. જ્યારે ભારતમાં કોરોના વાઇરસ પરથી ફોકસ હવે હટી ગયું છે અને કોરોનાની વેક્સિન પર ફોકસ કેન્દ્રીત થયું છે. અહમ પ્રશ્ન એ છે કે શું વેક્સિન આવવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જશે? શું વેક્સિનથી કોરોના મહામારી પર કાબૂ આવી જશે? સમજદાર લોકોનું કહેવું છે કે ભલે વેક્સિન આવશે, પરંતુ કોરોના પર તાત્કાલિક કાબૂ મેળવી શકાશે નહીં, કારણ કે વેક્સિન તમામ સુધી પહોંચતાં ઘણો સમય લાગશે.
વાસ્તવમાં વાઇરસ ખતમ થવાનો નથી
વાસ્તવમાં વાઇરસ ખતમ થવાનો નથી. વાઇરસ લાંબો સમય રહેશે અથવા હંમેશા માટે પણ રહી શકે છે. મેલેરિયા, ન્યુમોનિયાની વેક્સિન આવવા છતાં આ રોગોથી લોકો હજુ પણ ભોગ બની રહ્યા છે. એજ રીતે કોરોનાની વેક્સિન પણ અનંતકાળ સુુધી ચાલુ રહેશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોરોનાની વેક્સિન દુનિયાના તમામ લોકો સુધી પહોંચવી મુશ્કેલ જ નહીં, પરંતુ અશકય છે.
વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો સૌથી મોટો પડકાર
ભારત સહિત દુનિયાના કેટલાય દેશો કોરોના માટે અનેક વેક્સિન પર દિવસ-રાત કામ કરી રહ્યા છે. પરીક્ષણના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકેલી કેટલીયે વેક્સિનથી એવી આશા ઊભી થઇ છે કે થોડા મહિનામાં જ લોકોને આ ઘાતક વાઇરસથી બચવાનું શસ્ત્ર મળી જશે, પરંતુ વેક્સિન વિકસિત થવાથી કોરોનાનો અંત આવી જવાનો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે દુનિયાભરમાં ખાસ કરીને ગરીબ અને વિકાસશીલ દેશોમાં તમામ લોકો સુધી વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો સૌથી મોટો પડકાર છે.
ભારત સહિત દુનિયાના ત્રણ અબજ લોકો કોરોનાની વેક્સિનથી વંચિત
અહેવાલો અનુસાર ભારત સહિત દુનિયાના ત્રણ અબજ લોકો કોરોનાની વેક્સિનથી વંચિત રહી જશે. ફેકટરીથી સિરિંજ સુધી દુનિયાના લગભગ તમામ સંભવિત કોરોના વેક્સિનને નોનસ્ટોપ રેફ્રિજરેશનની જરૂર રહેશે કે જેથી વેક્સિન સુરિક્ષત, અસરકારક અને કારગત રહી શકે. દુનિયાભરમાં ૭.૮ અબજ લોકોની વસ્તીમાંથી ૩ અબજ લોકો એવાં સ્થળે રહે છે જ્યાં વેક્સિન માટે પૂરતા પ્રમાણમાં કોલ્ડ સ્ટોરેજ અને રેફ્રિજરેશનની સુવિધા અને વ્યવસ્થા ઉપલબ્ધ નથી. આનો અર્થ એ થયો કે દુનિયાભરમાં મહામારીથી સૌથી વધુ પ્રભાવિત ગરીબ લોકો સુુધી વેક્સિન પહોંચશે નહીં અને વેક્સિન પહોંચશે તો તેમાં ઘણો વિલંબ થશે અને તેથી તેઓ સુરિક્ષત રહી શકશે નહીં.
કોરોના વાઇરસ વેક્સિન માટે કોલ્ડ ચેઇન બનાવવી સૌથી ધનાઢય દેશો માટે પણ માનીએ છીએ એટલું સહેલું નથી. ખાસ કરીને એવી વેક્સિન કે જેના માટે માઇનસ-૭૦ ડિગ્રી સેલ્શિયસવાળા અલ્ટ્રા કોલ્ડ સ્ટોરેજની આવશ્યકતા રહેશે અને તેથી આવી અલ્ટ્રાકોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થાનું નિર્માણ કરવું મુશ્કેલ જ નહીં, પરંતુ પડકારજનક છે.
લોજિસ્ટિક નિષ્ણાતો આપી ચેતવણી
દુનિયાના મોટા ભાગના દેશો કૂલિંગ ટેકનોલોજીમાં ઘણા પાછળ છે અને તેમાં મોટા પાયે મૂડીરોકાણ પણ કરવામાં આવ્યું નથી. લોજિસ્ટિક નિષ્ણાતો એવી ચેતવણી આપી રહ્યા છે કે અસરકારક રસીકરણ માટે દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં રેફ્રિજરેશનનો અભાવ છે. તેમાં મધ્ય એશિયાના મોટા ભાગના દેશ, ભારત અને દિક્ષણ એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના કેટલાય દેશોનો સમાવેશ થાય છે. કોરોનાની વેક્સિન દુનિયાના તમામ લોકો સુધી ઉપલબ્ધ કરી શકાશે કે કેમ? તે અંગે આશંકા અને દહેશત પ્રવર્તે છે. આમ વેક્સિનથી વાત પૂરી થવાની નથી.