દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તમામ મંદિરો, સ્મારકો અને પ્રવાસન સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. સાર્વજનિક સ્થળો પર ભીડ એકઠી ન થાય તેના માટે તમામ પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે શ્રધ્ધાળુને અપીલ કરી છે કે તેઓ દર્શન કરવા માટે ન આવે.
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે દેશના મંદિરો, સ્મારકો અને પ્રવાસન સ્થળોને બંધ કરી દેવાયા
વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે શ્રધ્ધાળુને અપીલ કરી છે કે તેઓ દર્શન કરવા માટે ન આવે
વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની અસર સોમનાથમાં પણ જોવા મળી રહી છે
કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને જોતા શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે મંગળવારે યાત્રા સાથે જોડાયેલી બાબતો અને તીર્થ યાત્રાળુઓની સુરક્ષાની સમીક્ષા કરી. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા સીઇઓએ તીર્થ યાત્રાળુઓને સ્થિતિ સામાન્ય બને ત્યાં સુધી પવિત્ર ગુફાની તીર્થ યાત્રાને સ્થગિત કરવાની અપીલ કરી છે.
આ દરમિયાન કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે સાવચેતીના ભાગ રૂપે ઘણા પગલા ઉઠાવાયા છે. વેષ્ણો દેવીની યાત્રા પર આવનાર તમામ તીર્થ યાત્રાળુઓને યાત્રા રજીસ્ટર કાઉન્ટર, હોટલ, હેલીપેડ ટર્મિનલ પર ઉપલબ્ધ સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવું પડી રહ્યું છે. આ ઉપરાંત શ્રદ્ધાળુંઓને યાત્રા માટે આગળ વધતા પહેલા ફરજિયાત રીતે થર્મલ સ્કેનિંગથી પસાર થવું પડે છે.
સોમનાથ ટ્રસ્ટે ભાવિકોને ઘરે બેઠાં ઓનલાઇન દર્શન કરવા કરી અપીલ
આમ તો ભગવાન સોમનાથ મહાદેવ મંદિર વર્ષભર યાત્રિકોથી ધમધમતું રહે છે. ત્યારે હાલ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની અસર સોમનાથમાં પણ જોવા મળી રહી છે. સોમનાથ મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે સરકાર અને આરોગ્ય વિભાગની સૂચનાથી દેશ વિદેશથી આવતા યાત્રીકોની સંખ્યામાં પણ છેલ્લા બે દિવસથી ખૂબજ ઘટાડો જોવા મળી રહ્યો છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટનું મુખ્ય બુકીંગ હાઉસ કે જયાંથી 400 જેટલા આવાસોનું બુકીંગ થાય છે ત્યા પણ ખાલીખમ જોવા મળ્યું હતું. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં ઓનલાઈન દર્શન કરવા અપીલ કરાઇ છે.