રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો. ૧૨ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. હાલમાં તમામ ઉત્તરવહીઓ સ્ટ્રોંગરૂમમાં છે. પરંતુ હજુ પણ જો લોકડાઉન લંબાવવામાં આવશે તો ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ મોડું થવાની શક્યતા છે, જે મે - જૂનમાં જાહેર થઇ શકે છે. જોકે રાહતના સમાચાર એ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહિની ચકાસણીની કામગીરી 60 પૂર્ણ થઇ હોવાથી તેનું પરીણામ મે ના બીજા સપ્તાહે જાહેર થાય તેવી શક્યતા છે.
રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડનું પરીક્ષાનું પરિણામ મોડુ આવવાની શક્યતા
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના બીજા સપ્તાહમાં આવવાની સંભાવના
શિક્ષણ બોર્ડ દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહીઓ મોકલી દેવામાં આવી છે. જેમાં ઘણા કેન્દ્રો પર ઘણી ઉત્તરવહીઓની ચકાસણી પણ કરી દેવામાં આવી હતી. ધોરણ 10 અને 12 કોમર્સની ઉત્તરવહિની ચકાસણી કરવાની શરૂઆત થતાં જ થોડા સમયમાં લોકડાઉનની પરિસ્થિતિ આવી હતી.
હવે 14 એપ્રિલ પછી પણ જો લોકડાઉન લંબાવવામાં આવશે તો ઉત્તરવહિની ચકાસણીમાં પણ વિલંબ થશે અને લાખો ઉત્તરવહીઓ આ સમયગાળા દરમિયાન તપાસ્યા વગરની રહી જશે. હવે સ્થગિતનો નિર્ણય લંબાવવામાં આવે તો મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થવામાં આખો એપ્રિલ અને મે માસના પણ કેટલાક દિવસો જશે. આ સ્થિતિમાં ધો.૧૦ અને ધો.૧૨ના પરિણામો સમયસર જાહેર કરી શકાય તેમ ન હોવાથી આ વખતે પરિણામ મોડું થવાની શક્યતા છે.
શિક્ષણ બોર્ડની કચેરીમાં અરજદારોને પૂર્વ મંજુરી વગર રૂબરૂ ન આવવા માટે તાકીદ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની ડુપ્લિકેટ માર્કશીટ કે માઈગ્રેશન માટે ઓનલાઈન એપ્લિકેશન બનાવેલી છે અને તે ડોક્યુમેન્ટ ટપાલ મારફતે મોકલી આપવામાં આવે છે.
આ ઉપરાંત સ્કૂલની મંજુરી માટેની અરજી પણ ઓનલાઈન ભરવાની છે અને તેના ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન જ અપલોડ કરવાના છે. આમ, બોર્ડની કામગીરી મોટાભાગે ઓનલાઈન થઈ ગયેલી હોવાથી સરકારની સૂચના અનુસાર અરજદારોએ કચેરીએ આવવાનું ટાળવું તેવી તાકીદ કરવામાં આવી છે.