દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો નોંધાયો છે. ફરીવાર અમદાવાદની સ્થિતિ ફરીવાર ગંભીર બની રહી છે કારણ કે, સમગ્ર ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે ત્યારે હવે કોરોનાની ગાઇડલાઇનના પાલનને લઇને ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે લાલઆંખ કરી હતી.
સુપ્રીમ કોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટ આવી એક્શનમાં
રાજ્ય સરકારને કોરોના અંગે કડક પગલાં લેવા કર્યો આદેશ
ગુજરાતમાં વકરેલા કોરોનાના કેસો અંગે ચિંતા વ્યકત કરી
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટ કોરોના મામલે એક્શનમાં આવી છે અને રાજ્ય સરકારને કોરોના અંગે કડક પગલાં લેવા માટેનો આદેશ પણ કર્યો છે. ગુજરાતમાં વકરી રહેલા કોરોનાના કેસને લઇને હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, માસ્કનો ઉપયોગ ન કરનાર વ્યક્તિને કોવિડ સેન્ટરમાં કામ કરાવવામાં આવે.
માસ્ક ન પહેરનારને કોવિડ સેન્ટરમાં કામ કરાવો : HC
આવા લોકો જે માસ્ક પહેરતા નથી તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવે અને કોવિડ સેન્ટરમાં 8 દિવસ સુધી કામની સોંપણી કરવામાં આવે. તો આ મામલે સરકારને જવાબ રજૂ કરવા પણ હાઇકોર્ટે જણાવ્યું હતું.
સરકારને કોર્ટે પૂછ્યા વેધક સવાલ
હાઇકોર્ટે એવું કહ્યું હતું કે, રાજયમાં લોકો મરી રહ્યા છે ત્યારે શું પ્લાન છે ?, લગ્ન પ્રસંગમાં આટલા લોકોની જરુર શું છે ? તો એવો પણ સવાલ કર્યો હતો કે, સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થાય છે તેનું શું ? આવા વેધક સવાલો કરીને હાઇકોર્ટ અડવોકેટ જનરલને આડાહાથે લીધા હતા.
સફાળી જાગી સરકાર
હાઇકોર્ટના એક્શન બાદ સરકાર સફાળી જાગી હતી અને કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરતા કહ્યું હતું કે, શનિ-રવિમાં વધારે આકરા પગલા લઇ શકે છે અને સોશિયલ ડિસ્ટન્સ અટકાવવા પુરતા પગલા લેવાશે તેવું પણ જણાવ્યું હતું.
ગુરૂવારે નોંધાયા છે સૌથી વધુ 1560 કોરોનાના કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1560 કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1302 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,85,0558 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14529 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 90.93 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 70,820 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,551,609 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં છેલ્લા 6 દિવસ દરમિયાન 1500થી વધુ કેસ નોંધાયા હતા.
અમદાવાદ જિલ્લામાં 361 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 337, અમદાવાદ જિલ્લામાં 24, સુરત શહેરમાં 231, સુરત જિલ્લામાં 58, વડોદરા શહેરમાં 140, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 87, રાજકોટ જિલ્લામાં 51,ગાંધીનગર શહેરમાં 34, ગાંધીનગર જિલ્લામાં 36 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ બંન્ને શહેરોમાં 1700થી વધુ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થયું છે.