અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં પરીક્ષા લેવાના મામલે AMCની તપાસ કમિટીના રિપોર્ટમાં ઝોલ હોવાની ચર્ચા. મા પિરસનારી હોય તો દીકરાને ઓછુ આવે? એવી પણ ચર્ચાઓ ઉઠી રહી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં પરીક્ષા લેવાના મામલે AMCની તપાસ કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો. જેમાં આચાર્ય અને શિક્ષકોને બચાવાનો પ્રયાસ કરાયો છે. તપાસ રિપોર્ટમાં આચાર્ય કે શિક્ષકોએ બાળકોને સ્કૂલમાં નહોતા બોલાવ્યાં. બાળકો જાતે જ સ્કૂલમાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.
AMC સ્કૂલ બોર્ડ આચાર્ય પ્રીતિ પાંડેનું સસ્પેન્શન પણ રદ કરી નોકરી પર પરત લઈ લીધાં છે. AMC સ્કૂલબોર્ડના શાસનાધિકારી એલ.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, તપાસ સમિતિના રિપોર્ટમાં બાળકો જાતે આવ્યા હોવાનું બહાર આવ્યું છે પરીક્ષા નહોતી લેવામાં આવી.
તપાસ સમિતિના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર 11 જ બાળકો સ્કૂલમાં હાજર હતા અને બાળકો શિક્ષકો જ્યારે ઘરે ગયા ત્યારે તેમની સાથે સ્કૂલમાં આવ્યા હતા. ત્યારે બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનનો ભંગ કર્યો હોવા છતાં સરકાર પણ AMC સ્કૂલ બોર્ડ સામે કોઈ પગલાં ન ભરતા કે ધ્યાને ન લેતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. બાળકો જો સાથે આવ્યા હોય તો સ્કૂલના શિક્ષકોએ આવી મહામારીમાં બાળકોને ઘરે કેમ ન મોકલી દીધા તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. શિક્ષકોને જાણ ન હતી કે બાળકોને સ્કૂલમાં ન બોલાવી શકાય.