ગુજરાતમાં કોરોનાવાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે. અત્યાર સુધી ચીનમાં 20 હજારથી વધુ કોરોનાનો શિકાર બની ચૂક્યો છે અને 500થી વધુએ પોતાના જીવ ખોયા છે ત્યારે ગુજરાતમાં દિવસેને દિવસે શંકાસ્પદ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં ચીનથી ગુજરાતમાં 800થી વધુ લોકો પરત ફરી ચૂક્યા છે. વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા અને સુરત તેમજ જામનગરમાં ચીનથી પરત ફરેલા વિદ્યાર્થીઓમાં શંકાસ્પદ કેસ જણાયા હતા. અમદાવાદમાં પણ એક મહિલાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો.
અમદાવાદમા કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ
આંબલીની મહિલાને સિવિલ હોસ્પિટલમાં કરાઈ એડમિટ
થાઈલેન્ડ પ્રવાસ બાદ મહિલાને શંકાસ્પદ વાયરસના લક્ષણો દેખાયા
ગુજરાતમાં ચીનથી પરત ફરેલા વિદ્યાર્થીઓમાં હજુ સુધી કોઈ પણ કેસ કોરોના વાયરસ માટે કન્ફોર્મ નથી કરવામાં આવ્યો. જો કે વિદેશથી પરત ફરી રહેલા ભારતીયોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે જેમાં થાઈલેન્ડથી અમદાવાદ આવેલી એક મહિલા પણ શંકાસ્પદ હોવાનું જણાયું છે. જો કે હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ પોઝેટીવ નથી આવ્યો. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત અને જામનગરમાં શંકાસ્પદ કેસ જણાયા હતા.
અમદાવાદની મહિલાને પણ કોરોના વાયરસ હોવાની સંભાવના
મહિલાને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. થાઈલેન્ડના પ્રવાસ બાદ મહિલાને શંકાસ્પદ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. વાયરસના લક્ષણો જોવા મળતા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. કોરોના વાયરસને લઈને તંત્ર એલર્ટ પર છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. આ મહિલા થાઈલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી હતી. આ મહિલા 25 જાન્યુઆરીએ પતિ સાથે ફરવા માટે થાઈલેન્ડ ગઈ હતી અને 3 ફ્રેબુઆરીએ અમદાવાદ પરત ફરી હતી. વ્યવસાયે સીએ એવું આ દંપતી 10 દિવસ થાઈલેન્ડના ફુકેત અને કાવીમાં હતુ.
ચીનથી 800 જેટલા લોકો ગુજરાત આવ્યાં
4 ફેબ્રુઆરીના રોજ 255 પેસેન્જર ગુજરાત આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરના 161 અને જિલ્લાના 17 પેસેન્જર સામેલ છે. તેમજ અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 195 પેસેન્જર્સને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં 769 પેસેન્જર ગુજરાત આવ્યાં છે. જેમાંથી 622 પેસેન્જરને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે. જેમાંથી 147 પેસેન્જરની દેખરેખ પુરી થઈ ગઈ છે.
20 હજાર લોકોને કોરોના વાયરસે લીધા છે ઝપેટમાં
ચીનમાં 20 હજારથી પણ વધુ લોકોમાં કોરોના વાયરસ ફેલાઈ ચુક્યો છે. અને 500 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે. કોરોના વાયરસ ચીનમાં હાહાકાર મચાવ્યો છે.