અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યભરની સિવિલ અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. મોટી સંખ્યામાં દર્દીઓ સિવિલમાં સારવાર લઇ રહ્યા હોવાના કારણે તેમના સગાંસંબંધીઓને પણ તેમના દર્દી માટે માહિતી મેળવવાની તકલીફ પડી રહી છે એટલું જ નહીં, ક્યારેક કોરોનાના દર્દી પણ કોરોનાના ભયના કારણે હોસ્પિટલમાંથી સ્ટાફની નજર ચૂકવીને ભાગી જતા હોવાના દાખલા બન્યા છે. તેથી દર્દીઓને સરળતાથી શોધી શકાય કે તેમના સંબંધીઓનો સંપર્ક કરી શકાય તે માટે હવે સિવિલના પ્રશાસન દ્વારા બહુ ટૂંક સમયમાં દર્દીઓને આઇડેન્ટિફિકેશન રિસ્ટબેન્ડ પહેરાવવામાં આવશે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દર્દીઓના હાથમાં આઈડેિન્ટફિકેશન-રિસ્ટબેન્ડ બાંધવામાં આવશે, જેમાં દર્દીનું નામ, ઉંંમર, સ્ત્રી કે પુરુષ, બ્લડ ગ્રૂપ, આઈડી નંબર, કન્સલ્ટન્ટ (ડોક્ટર)નું નામ, સંબંધીનો સંપર્ક નંબર સહિતની માહિતી લખવામાં આવશે, જેના લીધે દર્દીની સંપૂર્ણ માહિતી સરળતાથી મળી શકશે.
કોરોનાના દર્દી હોવાના કારણે તેમની સાથે કોઈ પણ સગાંસંબંધીઓને ખાનગી કે સરકારી હોસ્પિટલમાં મળવા દેવાતાં નથી. કેટલાક સંજોગોમાં દર્દીની હાલત ગંભીર બને કે મૃત્યુ થાય ત્યારે તાબડતોબ સંબંધીને જાણ કરવા માટે આઈડેન્ટિફિકેશન-રિસ્ટબેન્ડ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.
દર્દીની તબિયત વિશે જાણવા સંબંધી દ્વારા ફોન કરવામાં આવે ત્યારે અને દર્દી જવાબ આપી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં પણ ફરજ પરના ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ રિસ્ટબેન્ડ પર નામ વાંચીને તે દર્દીની તમામ જાણકારી તેમના સગાંસંબંધીને ફોન પર આપી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં સિવિલમાંથી કોરોનાના દર્દી ભાગી જવાના ઘણા કિસ્સા બની ચૂક્યા છે ત્યારે રિસ્ટબેન્ડના લીધે સિક્યોરિટી ગાર્ડ પણ સરળતાથી આવા દર્દીને ઓળખી શકશે. દર્દી ભાગવાના કિસ્સા પણ અંકુશમાં આવશે. સિવિલ તંત્ર આ પ્રયોગને સફળ બનાવવા માટે કામ કરી રહ્યું હોવાનું જાણવા મળે છે. દર્દીએ રિસ્ટબેન્ડ પહેરી રાખવો પડશે અને તે જોવાની જવાબદારી સ્ટાફની રહેશે.