આખા દેશમાં કોરોનાની સૌથી ગંભીર સ્થિતિમાંના શહેરોમાં અમદાવાદ ટોચના સ્થાને છે. અહીં કોરોનાની બદ થી બદતર થતી પરિસ્થિતિ બાદ સરકારે કેટલાક પગલાં લીધા છે અને હવે તંત્ર દાવો કરી રહ્યું છે કે શહેરમાં તંત્રએ ભરેલા પગલાંથી કોરોનાની સ્થિતિમાં સુધારો થયો છે અને આશ્ચર્યજનક રીતે 140% રિકવરી રેટ સુધર્યો છે. આવામાં અચાનક જ આટલા મોટા રિકવરી આંકથી ચર્ચાઓ પણ ઉભી થવા લાગી છે કે આ કેવી રીતે થઈ શકે. આ સંદર્ભે કેટલીક ગણતરીઓ પણ સામે આવી હતી.
અમદાવાદમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે. શહેરનું તંત્ર આ મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ઠપકો ખાઈ ચૂક્યું છે એવા પણ અહેવાલ છે. એવામાં શહેરમાં કોરોના લડતનું સુકાન સાંભળનાર IAS અધિકારી ડો રાજીવ ગુપ્તાએ આજે દાવો કર્યો છે કે શહેરના AMC કમિશનર મુકેશ કુમાર, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને સરકારની નવી સ્ટ્રેટેજી મુજબ શહેરમાં કોરોનાના રિકવરી રેટમાં જંગી 140% સુધારો થયો છે.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) May 22, 2020
સૌથી પહેલો પ્રશ્ન એ છે કે રિકવરી રેટ શું છે?
કુલ કોરોનાના પોઝિટિવ કેસમાંથી રિકવર થઇ ગયેલા દર્દીઓનો દર એ રિકવરી રેટ છે. ગુજરાતનો રિકવરી રેટ 21 મેના આંકડા મુજબ 38.1% છે અર્થાત જો રાજ્યમાં 100 પોઝિટિવ કેસ છે તો તે 100 કેસમાંથી 38.1 દર્દીઓને કોરોના મટી ચુક્યો છે.
આ આંકડામાં 140%નો સુધારો કેવી રીતે નોંધાયો?
તંત્રએ આ માટે 5 મેના આંકડાનો સંદર્ભ લીધો. જેમાં રાજ્યમાં 5 મેના રોજ 100માંથી 15.85 દર્દીઓ રિકવર થયેલા હતા જે હવે વધીને 38.1% થઇ ગયા છે. આમ જોવા જઈએ તો આ ચોખ્ખો વધારો તો (38.1%) - (15.85%) એટલે કે 22.25 ટકા જેટલો છે. પરંતુ આ 140%નો આંકડો ટકાવારીના વધારાની ટકાવારી છે. આ પેચીદા અંકગણિતની રમતમાં 140%નો આંકડો સામે આવી રહ્યો છે.
તંત્રના મતે આ સફળતા માટે તંત્રએ સર્વેલન્સ ટીમ અને સર્વેલન્સ રેટમાં કરેલો વધારો કર્યો, સરકારે ખાનગી 42 હોસ્પિટલોમાં 50% બેડ કોરોના માટે જાહેર કર્યા, તેમનો ખર્ચો AMC ભોગવી રહી છે અને 50 ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સ દોડાવાને કારણે મળી છે તેવો દાવો કર્યો છે.
પરંતુ લોકોમાં ચર્ચા જે પ્રમાણે થઈ રહી છે તે પ્રમાણે આ આંકડાની રમતમાં કેન્દ્ર સરકારની એક ગાઈડલાઈન ખૂબ અગત્યનો ભાગ ભજવી રહી છે.
તંત્ર જે 5 મેના આંકડાને સંદર્ભ બનાવી રહી છે તેના 4 દિવસ પછી એટલે કે 9મી મેના રોજ સરકારે ડિસ્ચાર્જ કરવામાં આવતા દર્દીઓની ગાઇડલાઇન્સમાં સુધારો કરીને કહ્યું હતું કે હવેથી કોરોનાના Mild Symptoms અથવા Asymptomatic પોઝિટિવ દર્દીઓને સતત 3 દિવસ તાવ ન આવે તે દર્દીઓને લક્ષણો શરુ થયાના 10 દિવસમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. અર્થાત્ આ દર્દી કોરોનાથી સાજો થઇ ગયો છે તેમ ગણાશે અને તેને કોરોના નેગેટિવ છે કે નહીં તેનો ટેસ્ટ પણ નહીં કરવો પડે.
નોંધનીય છે કે કેટલાક નિષ્ણાતોએ આ નિર્ણય મુદ્દે ચેતવણી પણ આપી હતી કે દર્દીઓને ટેસ્ટ કર્યા વગર નેગેટિવ જાહેર કરવાથી સંક્રમણ ફેલાવાનું જોખમ રહે છે કારણ કે વિશ્વભરમાં ઘણા દર્દી 14 દિવસ, 25 દિવસ કે તેનાથી પણ વધુ સમય કોરોના પોઝિટિવ રહ્યા હોવાના કેસ નોંધાયેલા છે.
9મેના રોજ ગાઈડલાઇન્સમાં સુધારો અને ત્યારથી અમદાવાદમાં રિકવરી રેટમાં સુધારો: બે ઘટના એક સંયોગ?
લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આરોગ્ય સચિવ જયંતિ રવિ પોતે સ્વીકારે છે કે ગુજરાતમાં 10માંથી 7 કેસ Mild Symptoms ધરાવતા પોઝિટિવ દર્દીઓના છે. એટલે હવે જો મોટા ભાગના દર્દીઓ કોઈ પ્રકારના ટેસ્ટિંગ વગર 10 દિવસમાં જ કોરોના નેગેટિવ થઇને ડિસ્ચાર્જ થઇ રહ્યા છે તો શહેરનો રિકવરી રેટ સુધરે એ સ્વાભાવિક છે.
તંત્રએ કરેલા સુધારાને કારણે કેટલો શહેરમાં કેટલો રિકવરી રેટ વધ્યો અને દેશમાં ડિસ્ચાર્જ કરાતા Mild Symptoms ધરાવતા પોઝિટિવ દર્દીઓ 10 દિવસમાં ટેસ્ટિંગ વગર નેગેટિવ જાહેર કરી દેવામાં કેન્દ્રના નિર્ણયથી શહેરમાં કેટલો રિકવરી રેટ વધ્યો એ મુદ્દે અમદાવાદીઓ માથું ખંજવાળી રહ્યા છે.
આંકડાઓની પારદર્શિતા પર સવાલો
મહત્વનું છે કે લોકો એવું પણ કહી રહ્યાં છે કે છેલ્લાં કેટલાંક દિવસોથી અમદાવાદમાં કોરોનાના ટેસ્ટિંગ અને વિગતવાર યાદી અપાતી હતી તે પણ મીડિયાને આપવાની બંધ કરી દેવાઈ છે. જેથી મીડિયા દ્વારા પણ આ માહિતી વિગતવાર પબ્લિશ કરી શકાતી નથી. જેથી ગણતરીમાં પાક્કા એવા અમદાવાદી કોરોનાનું ગણિત ગણી શકતા નથી. જેથી હાલ તો માત્ર તંત્ર જ આંકડા આપે છે અને તંત્ર જ દાવા કરે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.