ટેસ્ટિંગ ડોમ શરૂ થયા બાદ અમદાવાદની 1200 બેડ હોસ્પિટલ ફરી શરૂ કરવામાં આવી, પ્રાથમિક ધોરણે ટ્રાયેજ એરિયામાં 16 બેડની તૈયાર કરવામા આવ્યા
અમદાવાદમાં કોરોના કેસનો ફૂંફાડો
1200 બેડ હોસ્પિટલ ફરી શરૂ
તંત્ર સાબદી તૈયારીઓ આદરી
અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ પગપેસારો કરી દીધો છે. ધીમે ધીમે કોરોના પોઝિટીવ કેસની સંખ્યા વધી રહી છે.શહેરમાં છેલ્લા 20 દિવસથી કોરોના કેસોમાં નોંધપાત્ર કેસો સામે આવતા હવે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોરોનાને ફેલાતો રોકવા માટે તંત્ર મક્કમ બન્યું હોય તેમ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એસટી બસ સ્ટેન્ડ પાસે જરૂર મુજબ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે.
1200 બેડની હોસ્પિટલ ફરી કાર્યરત
તો બીજી તરફ અમદાવાદમાં કોરોનાના સ્થિતિ વણસતા ફરી 1200 બેડની હોસ્પિટલ ફરી શરૂ કરી દેવામાં આવી છે. ટ્રાયેજ એરિયામાં 16 બેડની વ્યવસ્થાઓ કરવામા આવી છે. તથા ટ્રાયેજ એરિયામાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ પણ ખડેપગે કરવામા આવ્યો છે.હાલમાં સિવિલ હોસ્પિટલમાં તૈયારીના ભાગરૂપે 64 આઈ સી યુ બેડ તૈયાર કરવામા આવ્યા છે. તથા ઓક્સિજન ટેન્ક સાથે દવાઓનો સ્ટોક સહિત સમગ્ર કર્મચારીઓને તૈનાત કરાયા છે. સિવિલના ડોકટરોનું કહેવું છે કે લોકો ભૂલી ન જાય કોરોના હજુ ગયો છે સાવધાની જરૂરી છે. કોરોનાની સ્થિતિ તદ્દન થાળે પડે ત્યાં સુધી સાવચેતી જરૂરી છે.
10 દિવસમાં અમદાવાદના કોરોના કેસોમાં મોટો વધારો
અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં સતત કેસો વધી રહ્યા છે. સરકારી આંકડાઓ મુજબ 01 જુનના રોજ અમદાવાદ શહેરમાં 21 કેસ તો 28 દર્દી સાજા થયા હતા, 02 જૂન અમદાવાદ શહેરમાં 27 કેસ 13 દર્દી સાજા થયા, 03 જૂને અમદાવાદ શહેરમાં 26 કેસ તો સામે 15 દર્દી સાજા થયા, 04 જૂનના રોજ અમદાવાદ શહેરમાં 26 કેસ તો સામે 18 દર્દી સાજા થયા અને 05 જૂનના રોજ અમદાવાદ શહેરમાં 31 કેસની સામે 25 દર્દી સાજા થયા. તો વળી ગઇકાલે 6 જૂનના દિવસે અમદાવાદ શહેરમાં 31 કેસ સામે આવ્યા તો 25 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 7 જૂને 44 કેસ, 9 જુનના રોજ 64 કેસ 10 જુને 86 કેસ અમદાવાદમાં નોંધાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 143 કેસ
ગુજરાતમાં કોરોના વકરવાની સ્થિતિ પેદા થઈ ચૂકી છે. આજે રાજ્યમાં એકાએક કોરોના કેસોમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 143 કેસ નોંધાયા છે. સતત ત્રીજા દિવસે 100થી વધુ કોરોનાના દૈનિક કેસ નોંધાતા તંત્રની સતર્ક થયું છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 608 પહોચી ગઈ છે.જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 86 કેસ, વડોદરા 18 કેસ, ગાંધીનગર 10 કેસ, સુરત 10 કેસ, રાજકોટ 8 કેસ , જામનગર 3 કેસ મહેસાણા જિલ્લામાં 3 કેસ આણંદમાં એક કેસ,કચ્છમાં એક કેસ, નવસારી અને સાબરકાંઠામાં એક-એક કેસ બહાર આવ્યા છે.રાજ્યમાં કુલ 51 દર્દીઓએ કોરોનાને માત આપી હેમખેમ ઘરે પરત ફર્યા છે.3 માર્ચના રોજ એક અને 7 મેના રોજ એક દર્દીનું મૃત્યુ થયું હતું. ત્યારે લાંબા સમય બાદ ગુજરાતમાં કોરોનાથી દર્દીનું મૃત્યુ થયું છે.