તમામ સરકારી ખાનગી હોસ્પિટલોમાં ૧૦ અને ૧૧ એપ્રિલે મોક ડ્રીલ યોજાશે
કોરોના કેસોમાં નોંધાતા વધારાને લઈને સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં કોવિડ-૧૯ ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી. જેમાં જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તદ્દઅનુસાર ,ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન ૨૬૮ ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમજ કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ પણ કરાય છે.
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર એક્શનમાં, CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળી બેઠક, આગામી 10 અને 11 એપ્રિલે રાજ્યભરમાં તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં યોજાશે મોકડ્રીલ, હાલ રાજ્યમા પ્રતિ મિલિયન 268 ટેસ્ટિંગ કરવામાં આવે છે#gujarat#vtvgujarati#cmbhupendrapatel#healthpic.twitter.com/6OFmhNr5lx
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 30, 2023
હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આગામી ૧૦ અને ૧૧ એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે. આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ , માનવ બલ વગેરે ની સજ્જતા ચકાસણી કરવામાં આવશે.
ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન ૨૬૮ ટેસ્ટિંગ કરવામાં આવે છે
વધુમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવમનોજ અગ્રવાલે બેઠકમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીની વિગતો આપી હતી. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યમાં વહેલા નિદાન અને સારવારને પરિણામે હોસ્પિટલાઈઝેશન એટલે કે દાખલ કરવા પડે એવા દર્દીઓનું પ્રમાણ ૩ ટકા કરતાં ઓછું છે અને મૃત્યુદર પણ નહિવત છે.કોવિડ-૧૯ કેસોનું દૈનિક ધોરણે એનાલિસિસ કરીને આરોગ્ય વિભાગ રોગ અટકાયતના પગલા પણ ત્વરાએ લે છે તેની આ બેઠકમાં વિગતો આપવામાં આવી હતી
લોકોને કોરોના એપ્રોપ્રિએટ બીહેવીયર માટે જાગૃત કરવા જરૂરી
બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલોમાં દવા વગેરેના પુરવઠાની પણ સમીક્ષા હાથ ધરી હતી. આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે તેમ આ સમીક્ષા બેઠકમાં જણાવવા માં આવ્યું હતું. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠકમાં જણાવ્યું કે કોરોના સામે ગભરાટ કે ડર વિના સાવચેતી સલામતી રાખવા લોકોને કોરોના એપ્રોપ્રિએટ બીહેવીયર માટે જાગૃત કરવા જરૂરી છે. ઉંમરલાયક વ્યક્તિઓ અને દર્દીઓએ જાહેર ભીડભાળવાળી જગ્યાએ ન જવા અને માસ્ક પહેરવું ,ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને જાહેર સ્થળોએ થૂંકવું નહીં જેવી બાબતો અંગે લોકજાગૃતિ કેળવવા તેમણે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
ગઈકાલે નોંધાયા હતા 401 પોઝીટિવ કેસ
ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. ગઈકાલે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ રાજ્યમાં કોરોનાના 401 પોઝીટિવ કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમા 144 કેસ સુરત 45 કેસ, વડોદરા 43 રાજકોટ 42 મોરબી 22 કેસ નોંધાયા હતા, તો ગાંધીનગર 12 અમરેલી 14 મહેસાણા 16 કેસ તેમજ આણંદ 07 કેસ જામનગર 06 તેમજ સાબરકાંઠા વલસાડ 5-5 કેસ નોંધાયા હતા અને ભરૂચ છોટાઉદેપુર અને પાટણ 3-3 કેસ તેમજ દાહોદ -દ્વારકા 1-1 કેસ મહીસાગર અને પચંમહાલ 1-1 કેસ સામેં આવ્યા હતા.