સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના એકબાદ એક વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. જેના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તો નવાઇ નહીં.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના એકબાદ એક વીડિયો વાયરલ થતા રોષ
ભગવાન શિવજીના અપમાનને લઇ શિવભક્તોમાં ભારે રોષની લાગણી
સંપ્રદાયના વધુ એક સ્વામીએ ભગવાન બ્રહ્માનું અપમાન કર્યું હોવાનું સામે આવ્યું
આપણા હિંદુ ધર્મમાં સાધુ-સંતો અને ઋષિમુનિઓનું સૌથી વધારે માન-સન્માન હોય છે. ભગવાન પછી સૌ ભક્તો મોટા સાધુ-સંતો અને ઋષિમુનિઓને માન આપતા હોય છે. પરંતુ ક્યારેક કોઇ એક સાધુ-સંતના વિવાદિત નિવેદનના કારણે સમગ્ર સંપ્રદાય કે સમગ્ર સાધુ-સંતોને તેના કારણે નીચું જોવું પડે છે. ત્યારે તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ ભગવાન શિવજીને લઇ કરેલા અપમાનના કારણે તમામ શિવભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સંપ્રદાયના સંતોના એકબાદ એક જૂના વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ વાયરલ વીડિયોનું VTV પુષ્ટિ કરતું નથી.
વધુ એક સ્વામીજીએ કર્યું બ્રહ્માનું અપમાન!
તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુ વિવાદમાં આવ્યા છે. સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામીનો વિવાદીત વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓએ ભગવાન બ્રહ્માનું અપમાન કર્યું હોવાનું સંભળાય છે. સ્વામીએ ઇન્દ્રદેવ પર અપમાનજનક ટિપ્પણી કરી છે. વીડિયોમાં સ્વામીજીએ ઇન્દ્રદેવ અને બ્રહ્મા પર ન બોલવા લાયક શબ્દો બોલ્યા છે.
મહત્વનું છે કે એક દિવસ અગાઉ જ સંપ્રદાયના પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ ભગવાન શિવને લઇને વિવાદિત નિવેદન કરતા શિવભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્વામીએ આ પ્રવચન દરમિયાન ભગવાન શિવજીએ કચ્છના હરિભક્ત નિશીથના ચરણ સ્પર્શ કર્યાનો પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો. જ્યાર બાદ આ સમગ્ર વિવાદ વકર્યો હતો. મહત્વનું છે કે, અગાઉ સોખડા વિવાદ દરમિયાન પણ પ્રબોધ સ્વામી વિવાદમાં આવી ચૂક્યા હતા. જોકે, આનંદસાગર સ્વામીની મહાદેવ પર ટિપ્પણી મામલે સાધુ સંતોમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ નિવેદનને જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુએ પણ વખોડી કાઢ્યું છે.
રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ પણ કર્યા હતા સૂત્રોચ્ચાર
વધુમાં આનંદ સાગર સ્વામી દ્વારા ભગવાન શંકરને હીણપત લગાડનારી ટિપ્પણીના વિરોધમાં હવે રાજકોટ બાર એસોસિએશન પણ ઉતરી આવ્યું હતું. સનાતન ધર્મના સમર્થન માટે રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્વામીના ફોટાનું દહન કર્યું હતું એટલું જ નહીં બાર એસોશિએશને આનંદસાગર સ્વામી વિરુદ્ધ કેસ દાખલ કરવાની પણ માંગ કરી હતી અને જાહેર કર્યું હતું કે, " જો કોઈ સ્વામી વિરુદ્ધ કેસ કરશે તો બાર એસોસિએશન નિઃશુલ્ક કેસ લડશે.
એ સિવાય વધુ 2 સંતના વિવાદિત વાણી વિલાસના વીડિયો સામે આવ્યા હતા
હજુ તો પ્રબોધ સ્વામી જૂથના સંત દ્વારા શિવજી વિશે કરાયેલા નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો શાંત પડ્યા નથી ત્યાં તો સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ 2 સંતોના જૂના વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ ડાકોરના રાજા રણછોડની ઉપેક્ષા કરી છે. જ્યારે બીજા વીડિયોમાં સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ઈશ્વરના નામે ટીકા કરી છે. બંને સ્વામીના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. તેમજ ભક્તોમાં પણ વાણીવિલાસનો ઉગ્ર રોષ વ્યાપ્યો છે.
બાદમાં સ્વામી આનંદસાગરે માફી માંગી હતી
ગુજરાતીમાં એક કહેવત છે કે, `ભોં માંથી ભાલા ઊગે' હાલ આ કહેવત આપણા રાજ્યમાં સંતસમુદાય વચ્ચે વિવાદ રૂપે આકાર પામી રહી છે.. કેમ કે, સંતોનું કામ પોતાની શીતળવાણીથી ત્રિવિધ તાપોથી તપ્ત સંસારીઓને શાતા આપવાનું છે.પરંતુ બે દિવસ પહેલા વિદેશના એક કાર્યક્રમમાં વડોદરાના પ્રબોધસ્વામી જૂથના સંત સાધુ આનંદસાગરે તેનાથી બિલકુલ વિપરિત નિવેદન કરીને સંસારીઓ અને સાધુ સમુદાયમાં એક નવા વિવાદને છેડી દીધો હતો. ભગવાન શિવજી વિષે વાંધાજનક ટીપ્પણી કરતાં શિવભક્તોમાં રોષ વ્યાપ્યો હતો. બાદમાં સ્વામી આનંદસાગર બે હાથ જોડી માફી માંગી હતી.