BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કર્ણાટકમાં કોંગ્રેસ અને JDSના ગઠબંધન મામલે શાબ્દિક પ્રહારો કર્યા હતા જેના ભાગરૂપે કોંગ્રેસે પણ તીખો તેવર દેખાડ્યો હતો અને તાજેતરમાં જ પલટવાર કર્યો છે. પાર્ટીના પીઢ નેતા આનંદ શર્માએ ભાજપને જવાબ આપતા જણાવેલ કે 'ધારાસભ્યોની ચોરી કરવામાં ભાજપ મહારથી છે.
અમે અમારા ધારાસભ્યોને ભાજપથી બચાવ્યા છે ચૂંટણી બાદ સાફ થઈ ગયુ છે કે જનાદેશ ગઠબંધન માટે છે.' તેમણે વધુમાં જણાવેલ કે 'આખો દેશ અને દુનિયા જાણે છે કે ભાજપ દેશની સૌથી વધુ પૈસા ધરાવતી પાર્ટી છે અને પૈસાના મામલે ભાજપનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. આ સાથે તેમણે વધુ ટિખળ કરતા જણાવેલ કે ભાજપ અને RSSનું દિલ્હીમાં અત્યાધુનિક કાર્યાલય આવેલ છે. જો કે કર્ણાટકમાં 2018ની ચૂંટણીમાં BJPએ ચૂંટણીમાં આશરે સાડા 6 હજાર કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો અને પોતાની પૂરી તાકાત કર્ણાટક જીતવા લગાવી દીધી પરંતુ અંતે તો જીત સત્યની થઇ.
આ સાથે આનંદ શર્માએ વધુમાં જણાવ્યુ હતુ કે 'જો કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપવાનું તર્ક હતું તો ગોવા અને મણિપુરમાં આવુ કેમ ન કરવામાં આવ્યુ.' સાચુ તો એ છે કે ભાજપ રાજ્યોમાં પુરે પુરી સરકાર ચોરી લે છે.' આપને જણાવી દઇએ કે અમિત શાહે દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયમાં આજરોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ. જેમાં તેમણે કર્ણાટક ચુંટણી પર ખુલીને પોતાના વિચારો જાહેર માધ્યમો સમક્ષ રજૂ કર્યા હતા. આ દરમ્યાન તેમણે કહ્યું કે 'કોગ્રેસ-જેડીએસ ગઠબંધન જનાદેશના વિરુદ્ધમાં છે અને જનતાએ ભાજપને પસંદ કરી હતી.'
આપને જણાવી દઇએ કે તાજેતરમાં કર્ણાટકમાં યોજાયેલ ચૂંટણીમાં 104 બેઠકો મેળવીને ભાજપના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી જો કે તે બહુમતિ પ્રાપ્ત કરી શકી ન હતી.તેમ છતાં કર્ણાટકના રાજ્યપાલે સરકાર રચવાનું આમંત્રણ આપતા કોંગ્રેસ અને JDSએ સુપ્રીમના દ્વારા ખટખટાવ્યા હતા. અંતે કોર્ટ દ્વારા ભાજપને બહુમતિ સાબિત કરવા એક દિવસનો સમય આપ્યો હતો અંતે ભાજપ અનેક હવાતિયા મારવા છતા બહુમતિ સાબિત કરી શકી ન હતી. અને 55 કલાક બાદ ભાજપ સરકાર પડી હતી.