પંજાબ રાજકારણમાં ગરમાગરમી ચાલી રહી છે. કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાં બાદ હવે નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ શરૂ થઈ ગઈ છે.
પંજાબમાં સત્તાનું ઘમસાણ મચ્યુ છે. નવજોત સિંહ સિદ્ધુ ને હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપવું ભારે પડે તેવી સંભાવના છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિદ્ધુએ બુધવારે એક વીડિયો બહાર પાડીને પોતાની વાત કરી હતી. સિદ્ધુએ કહ્યું કે તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી અધિકાર અને સત્યની લડાઈ લડતા રહેશે. તેમણે કહ્યું કે મારી કોઈ સાથે કોઈ અંગત દુશ્મનાવટ નથી. મારી રાજકીય કારકિર્દી 17 વર્ષની છે, જે પરિવર્તન લાવવાની હતી. તે લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે હતું. આ મારો ધર્મ છે.
સિદ્ધુએ કહ્યું કે હું ન તો હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરી શકું અને ન તો તેને ગેરમાર્ગે દોરવા દઉં. હું ન્યાય માટે લડવા, પંજાબના લોકોનું જીવન સુધારવા માટે કંઈપણ બલિદાન આપીશ. મારે આ વિશે વિચારવાની જરૂર નથી.
પાર્ટીના હાઇકમાન્ડ દ્વારા સિદ્ધુના રાજીનામાં બાદ હવે તેમણે મનાવવા માટે પ્રયાસો બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે બંને પક્ષે હવે કોઈ વાતચીત થઈ નથી. આટલું જ નહીં પણ પક્ષ દ્વારા પંજાબમાં હવે નવા કોંગ્રેસ અધ્યક્ષ શોધવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ હરીફાઈમાં હવે રવનિત સિંહ બિટ્ટુ નું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
કોંગ્રેસના સૂત્રોનાં જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઇકમાંડ સિદ્ધુથી નારાજ છે. તેમની વિરુદ્ધ હવે પાર્ટીનું વલણ કડક થઈ જાય તેવી પણ સંભાવના છે. જો કે કોંગ્રેસે હજુ તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી.
ચરણજીત સિંહ ચન્નીએ કેબિનેટ બેઠક બોલાવી
પંજાબના કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત બુધવારે ચંદીગઢ જવાન હતા પરંતુ હવે એ પણ કેન્સલ થવાના સમાચાર છે.
આજે નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કેબિનેટ બેઠક બોલાવી હતી અને સમાચાર અનુસાર જે મંત્રીઓ બેઠકમાં નહીં આવે તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે એવી શક્યતા છે.
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી સિદ્ધૂએ આપ્યું હતું રાજીનામું
નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. રાજીનામામાં સિદ્ધુએ લખ્યું કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં નીચે પડવાની શરૂઆત સમાધાનથી થાય હતું. હું પંજાબના ભવિષ્ય માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરી શકું. આ માટે પંજાબ પ્રદેશ અધ્યક્ષપદેથી તાત્કાલિક રાજીનામું આપું છું.
પંજાબ કોંગ્રેસમાં ફરી વાર મોટી ઉથલપાથલ મચી
પંજાબ કોંગ્રેસમાં ફરી વાર મોટી ઉથલપાથલ મચી છે. પ્રદેશાધ્યક્ષ પદેથી સિદ્ધુના રાજીનામા બાદ તેમના સમર્થનમાં કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાના અને ધારાસભ્ય પરગટ સિંહે પણ તત્કાળ રાજીનામું આપી દેતા સંકટ ઘેરુ બન્યું છે.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના મંત્રીમંડળમાં મંત્રી રઝિયા સુલ્તાનાએ પણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. MLA પરગટ સિંહનું પણ રાજીનામું આપ્યું હોવાની ખબર વહેતી થઈ હતી જોકે ખુદ પરગટ સિંહે સામે આવીને તેમના રાજીનામાની ખબરને ખોટી ગણાવી હતી. રઝિયા સુલ્તાનાને નવજોત સિંહ સિદ્ધુની નજીક માનવામાં આવે છે. રઝિયા સુલ્તાનાના રાજીનામાથી સ્પષ્ટ છે કે પંજાબમાં ચાલી રહેલું રાજકીય તોફાન જલ્દી અટકવાનું નથી.
રાજીનામાના 4 સાંભવિત કારણો
(1) કેબિનેટમાં જે રીતે વિભાગોની ફાળવણી કરાઈ તેનાથી સિદ્ધૂ નાખુશ હતા.
(2) નવી કેબિનેટમાં સુખવિંદર સિંહ રંધાવાને ગૃહમંત્રી બનાવાયા, સિદ્ધુ અને તેમના સાથીઓને આ વાત ખટકતી હતી.
(3) અમૃતસર સુધાર ટ્રસ્ટનો લેટર ચરણજીત સિંહ ચન્ની દ્વારા આપવામાં આવ્યો જ્યારે સિદ્ધૂ ખુદ આ લેટર સોંપવા માગતા હતા.
(4) કેટલાક અધિકારીઓની બદલીથી સિદ્ધૂ ખુશ નહોતા.
એડવોકેટ જનરલની નિયુક્તીના મુદ્દે પણ ચન્ની અને સિદ્ધુ વચ્ચે ચડભડ ચાલી રહી હતી. સિદ્ધુ સુપ્રીમના પૂર્વ જજ કુલદીપ સિંહના પુત્ર ડીએસ પટવાલિયાને એડવોકેટ જનરલ બનાવવા માગતા હતા. આ નિયુક્તી ફાઈનલ પણ થઈ ગઈ હતી પરંતુ અચાનક વચ્ચે કાઉન્સિલના પૂર્વ અધ્યક્ષ અણમોલ રતન સિદ્ધુનું નામ ચાલવા લાગ્યું. તે ઉપરાંત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોને બનાવવા તે અંગે પણ તેમની વચ્ચે કમેળ સર્જાયો હતો.