કોંગ્રેસે વીજળી મુદ્દે સરકારને ઘેરીને કર્યો હોબાળો
નારા લગાવીને ગૃહમાંથી કર્યું વૉક આઉટ
ગુજરાત વિધાનસભા સત્ર આજે હોબાળા ભર્યુ રહ્યું. સત્રમાં કોંગ્રેસે ખેડૂતોને વીજળી અને પાણી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોને સમયસર વીજળી અને પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા કોંગ્રેસે વિધાનસભામાં હોબાળો મચાવી દીધો. ગૃહમાં જ સરકાર સામે નારા લગાવીને ગૃહમાંથી ચાલતી પકડી.
સરકાર યુધ્ધ ના ખોટા કારણો આપી રહી છે - કોંગ્રેસ MLA વિક્રમ માડમ
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ખેડૂતોને વીજળી ન મળવા બાબતે જણાવ્યું કે સરકાર અને અધિકારીઓના જવાબ અલગ અલગ કેમ છે. ગુજરાતમાં વીજળી સરપલ્સ હોય તો ખેડૂતોને કેમ નથી મળતી ? ધારાસભ્યો અને ખેડૂતો આંદોલન કરી રહ્યા હોવા છતાં ખેડૂતોને વીજળી કેમ નથી મળતી ? સરકાર ગૃહમાં સાચા આંકડા આપે કે સ્થિતિ શું છે. સરકાર ખેડૂતોને ટૂકડે ટુકડે ચાર કલાક વીજળી આપે છે. સરકારે યુદ્ધના ખોટા કારણો આપી રહી છે યુદ્ધ તો 20 દિવસથી ચાલી રહ્યું છે. ઉદ્યોગોને વીજળી આપી દેવા ખોટા આંકડા ધરે છે.
સિંચાઈના પાણી અને વીજળીની કટોકટી માટે સરકાર જવાબદાર-ગુલાબસિંહ
વિધાનસભામાં સિંચાઈ માટેની વીજળી અને પાણીનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠામાં સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલમાં પાણી આપવા રજૂઆત કરી હતી. તેઓએ આરોપ પણ લગાવ્યો કે સિંચાઈના પાણી અને વીજળીની કટોકટી માટે સરકાર જવાબદાર છે. વધુમાં જણાવ્યું કે ચોમાસમાં પાક નિષ્ફળ ગયો છે ત્યારે ઉનાળામાં સિંચાઈ માટે પાણી આપવું જોઈએ. સરકાર એક મહિના સુધી ખેડૂતોને પાણી આપે. મહત્વનું છે કે આજથી વાવ, થરાદ, સુઇગામ અને ભાભરમાં કેનાલોમાં સિંચાઇનું પાણી આપવાનું બંધ કરાતા ખેડૂતો પરેશાન થયા છે જેને કારણે વાવ-થરાદના ધારાસભ્યો સહિત ખેડૂત સંગઠનો આ રજૂઆત કરવામાં આવી હતી.
"બનાસકાંઠામાં વીજળીની કટોકટી સર્જાઈ"
કોંગ્રેસના ધારાસભ્યએ એમ પણ જણાવ્યું કે છેલ્લા 2 દિવસથી બનાસકાંઠામાં વીજળીની કટોકટી સર્જાઈ છે. સરકાર એક બે કલાક વીજળી આપે છે જેથી ખેડૂતો સિંચાઇ કરી શકતા નથી. આથી 8 કલાક સળંગ વીજળી આવામાં આવે તેવી માગ પણ કરી હતી.
ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને લખ્યો પત્ર
આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોને નિયમિત વીજળી આપવા અંગે ઉર્જામંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. તેઓએ પત્રમાં લખ્યુ હતું કે અનિયમિત વીજળી આપવાથી ખેડૂતોને નુકસાન થાય છે.સરકાર 10 કલાક વીજળી આપવાની વાતો કરે છે પરંતુ ખેડૂતો માત્ર 4 થી 5 કલાક વીજળી મળે છે. આથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોના પાક અને વીજ મીટરોને પણ નુકસાન થાય છે જેથી પુરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવે તેવી માગ કરી હતી.