આઇસીસી અને બીસીસીઆઇ વચ્ચે ફરી ઘર્ષણ શરૂ થયું છે. એટલે સુધી કે આઇસીસીએ ભારતમાં ૨૦૨૧માં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપની યજમાની છીનવી લેવાની પણ ધમકી આપી દીધી છે. ટેક્સ સાથે જોડાયેલા મામલાને કારણે દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇને આ ધમકી ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા તરફથી મળી છે.
બીસીસીઆઇ અને આઇસીસી વચ્ચે આ મુદ્દે જોરદાર ઈ-મેલબાજી થઈ
આઇસીસીએ બીસીસીઆઇને આપી ધમકી
આઇસીસીને જો ટેક્સ માફી ના મળે તો તેને 100 મિલિયન ડોલરનું નુકસાન થઈ શકે
ભારતથી યજમાની જ છીનવી લેવાની ધમકી
આઇસીસીએ બીસીસીઆઇને જણાવી દીધું છે કે જો બીસીસીઆઇ ભારત સરકાર પાસેથી ટૂર્નામેન્ટ માટે ટેક્સમાં છૂટ નહીં અપાવી શકે તો બોર્ડ પાસેથી ૨૦૨૧ મેન્સ ટી-૨૦ વર્લ્ડકપની યજમાની છીનવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇ અને આઇસીસી વચ્ચે આ મુદ્દે જોરદાર ઈ-મેલબાજી થઈ છે. આઇસીસીએ બીસીસીઆઇને જણાવ્યું છે કે તેમણે ગત ૧૮ મે સુધીમાં 'કોઈ બિનશરતી મંજૂરી' પ્રદાન કરવાની હતી કે ભારત સરકાર સાથેના સમન્વયમાં એક લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનું સમાધાન શોધી લેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી એવું થયું નથી.
બીજી તરફ બીસીસીઆઇ ઇચ્છે છે કે કોરોના મહામારીને કારણે આ અંગેની સમયમર્યાદા ઓછામાં ઓછી ૩૦ જૂન સુધી વધારી દેવામાં આવે, પરંતુ આઇસીસીએ આ અપીલને નકારી કાઢી છે.
આઈસીસીને ટેક્સના કારણે થાય છે જોરદાર નુકસાન
ઉલ્લેખનીય છે કે આઇસીસી અને બીસીસીઆઇ વચ્ચે આ પહેલું ઘર્ષણ નથી. આ પહેલાં પણ ભારતની યજમાનીમાં યોજાયેલા ૨૦૧૬ના વર્લ્ડકપને કારણે આઇસીસીને ૨૦થી ૩૦ મિલિયન ડોલરનું નુકસાન થયું હતું, કારણ કે બીસીસીઆઇએ ટેક્સમાં માફી માટે ભારત સરકારની મંજૂરી લીધી નહોતી. ફેબ્રુઆરી-૨૦૧૮માં પણ આઇસીસી બોર્ડે પહેલી વાર બીસીસીઆઇને ચેતવણી આપી હતી કે ૨૦૨૧ના ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૨૩ના વન ડે વર્લ્ડકપની યજમાની ભારત પાસેથી છીનવાઈ શકે છે, કારણ કે આઇસીસીને જો ટેક્સ માફી ના મળે તો તેને ૧૦૦ મિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે.