CM નિવાસે મળેલી બેઠકને લઇ ચૂંટણીપંચમાં ફરિયાદ થઈ હતી. જેમાં કોંગ્રેસ દ્વારા આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આ ફરિયાદ મામલે ક્લીન ચિટ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ મામલે ગાંધીનગર SDM અને ડે.કમિશનરને તપાસ સોંપાઈ હતી. જેને લઈને ગાંધીનગર કલેક્ટરે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પાસેથી વિગતો મેળવી હતી અને ત્યારબાદ ગાંધીનગર કલેક્ટરે આચાર સંહિતાની જોગવાઇને ટાંકીને ચૂંટણી અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આચાર સંહિતાનો ભંગ થતો ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી. ત્યારથી જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેમાં રાજકીય પક્ષો દ્વારા રાજકીય મિલ્કતોનો ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ ભાજપ દ્વારા આ આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસે CM નિવાસસ્થાને મળેલી બેઠકને લઇને આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં CMને સરકારી મકાન તેમના નિવાસ માટે આપેલું છે. તેથી આચાર સંહિતાના નિયમ મુજબ CMના મકાનમાં આચાર સંહિતાના સમય દરમિયાન રાજકીય પ્રવૃતિ થઇ શકે નહીં તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યુ છે અને આ મામલે ભાજપને નોટિસ આપીને તાત્કાલિક કાર્યવાહી કરવા કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ ભવન ખાતે આવેલા CM વિજય રૂપાણીના અધિકૃત નિવાસ સ્થાનનો ઉપયોગ ભાજપના ટોંચના નેતાઓ દ્વારા ચૂંટણી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક માટે કરવામાં આવ્યો હતો અને આ સિમિત નક્કી કરે છે કે કોને ટિકિટ મળશે.