કચ્છમાં મેઘવર્ષા થતા અછતનું સમાપન થયું છે ત્યારે તેની ઉજવણી માટે મુખ્યમંત્રીની હાજરીમાં ભુજમાં 'મેઘલાડુ મહોત્સવ' ઉજવવામાં આવ્યો હતો. CM વિજય રૂપાણી આજે ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત મેઘલાડુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં.
ત્યારે આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજા અને સંતોકબેન અરેઠીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. જેને લઇ ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. સાથે જ અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાએ સીએમ રૂપાણી અને મોદીના વખાણ કર્યાં. તેઓએ કહ્યું કે, સરકાર સારું કામ કરે તો વખાણ કરવા જોઇએ. માત્ર વિરોધ કરવો યોગ્ય નથી.
આ તકે કચ્છમાં અછત દરમિયાન સારી કામગીરી કરી પશુઓની રખેવાળી કરનારી 19 સંસ્થાઓને સમ્માનપત્ર આપી મુખ્યમંત્રી રૂપાણીએ તેમની સરાહના કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 10 ફૂટના હાર, કચ્છી પાઘ અને કોટીથી અભિવાદન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વહીવટીતંત્રના અધિકારીઓ અને રાજકીય પ્રતિનિધિઓને પણ બિરદાવવામાં આવ્યા હતા મુખ્યમંત્રી રૂપાણીએ મંચ પરથી જાહેરાત કરતા કહ્યું કે, અછતની સબસીડી 30 જુલાઈ સુધીની ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત ક્ચ્છ પાણીદાર બને તે માટે હમીરસર અને ડેમો, તળાવો નર્મદા યોજનાથી લિંક કરશે. કચ્છની કુદરતી આપદાઓ સામે લડવાની ખુમારી બિરદાવી હતી. કચ્છમાં દુષ્કાળ વચ્ચે સરકારે જે કામગીરી કરી તેનો આભાર માનતા મુખ્યમંત્રીનું અભિવાદન પણ કરાયું હતું.