રાજકોટઃ ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે. રાજ્યમાં હાલ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા 48 કલાકમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. હાલ રાજ્યમાં શાંતિનો માહોલ છે.
મુખ્ય સચિવ ડો જે. એન. સિંહે કરી વીડિઓ કોન્ફરન્સ
મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહના અધ્યક્ષસ્થાને વીડિઓ કોન્ફરન્સ કરવામાં આવી હતી. રાજયના જિલ્લા પોલીસવડા કલેકટર સાથે વીડિઓ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને તેમજ બિનગુજરાતીઓ પર હુમલા મામલે સમીક્ષા કરી હતી. ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ એ.એમ. તિવારી ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યના પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જો કે રાજ્યમાં થઈ રહેલા બિનગુજરાતીઓ પર હુમલાના કારણે તેઓ હિજરત કરી રહ્યા છે. બિનગુજરાતીઓ હિજરત કરતા ઘણી કંપનીઓમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.
મહત્વનુ છે કે ચાંગોદરમાં ત્રીસ હજાર જેટલા બિનગુજરાતી વસવાટ કરે છે. જેમાથી 8 હજાર જેટલા બિનગુજરાતી હિજરત કરી ચુક્યા છે. આ ગામમાં 200 જેટલા ઉદ્યોગો પણ કાર્યરત છે. જેમાથી 80 જેટલા બિનગુજરાતીઓ ધરાવે છે. વિવિધ કંપનીઓમાં પેટા લેબર કોન્ટ્રાક્ટ પણ છે. માલ સામાનનો ઓર્ડર આપ્યા બાદ કારીગરો પલાયન કરતા માલિકો ચિંતિત થયા છે. આ ગામમાં એક હજાર જેટલા બિનગુજરાતી લોકો પાસે મતદાન કાર્ડ છે. જ્યારે 200 જેટલા બિનગુજરાતી પરિવારો પાસે રાશનકાર્ડ પણ છે.