મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન જાણીતી વર્લ્ડ હેરિટેઝ સાઈટ ધોળાવીરાની મુલાકાત પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી હતી. હડ્ડપીયન સંસ્કૃતિના અવશેષો નિહાળી અભિભૂત થઈ ગયા હતા. તેમણે લોકોને આ સાઇટની મુલાકાત લઈ હજારો વર્ષ પૂર્વની સંસ્કૃતિને જાળવવા અપીલ કરી હતી.
ધોળાવીરાની મુલાકાત બાદ શું કહ્યું?
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અહર્નિશ પ્રયત્નોથી યુનેસ્કો દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ વૈશ્વિક ધરોહર તેમજ કચ્છના ભચાઉ તાલુકાના ખદિરબેટ વિસ્તારમાં આવેલ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર ધોળાવીરાની મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો.આ સંસ્કૃતિ ૫૦૦૦ વર્ષ જૂની છે અને તે વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે.આખું નગર,પાણીની વ્યવસ્થા,રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે.સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે.આ સંસ્કૃતિને પુનઃ વિશ્વકક્ષાએ ઉજાગર કરવા બદલ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
27 જુલાઈ 2021ના રોજ ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં આવેલું છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. 1967-68ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી. 27 જુલાઈ 2021ના રોજ ધોળાવીરાને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતુ.
કેવી હતી નગરની રચના?
નગરમાં શાશક અધિકારીનો રાજમહેલ ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં.અન્ય અધિકારીઓના આવાસોની ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી. અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાન મળી આવ્યાં હતાં.સામાન્ય નગરજનોના આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી.