આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠક અંગે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી છે.
ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઇ હતી. વાઇબ્રન્ટ ગુજરાત, ખેડૂતોને મોબાઇલ, કોરોના મૃતકોને સહાય અને સ્વચ્છ શહેર સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
સૌથી વધુ MoU થાય તેવી અધિકારીઓને સૂચના આપી: વાઘાણી
ત્યારે આ બેઠક અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેબિનેટમાં વાઇબ્રન્ટ ગુજરાત અંગે ચર્ચા કરવામાં આવી છે. તમામ અધિકારીઓને સૌથી શ્રેષ્ઠ વાઇબ્રન્ટ સમિટ તૈયાર કરવાની અને વધુમાં વધુ MoU થાય તેવી સૂચના આપી છે. 19 કંપની જોડે MoU કર્યા છે, 24,185 કરોડના MoU થયા છે. અંદાજિત 37000 જેટલી રોજગારી ઉભી થવાની સંભાવના છે.
આવતીકાલે CM દિલ્હીમાં રોડ શો કરશેઃ વાઘાણી
આવતીકાલે મુખ્યમંત્રી દિલ્હીમાં લીલા પેલેસમાં વાઇબ્રન્ટ સમિટને લઇને રોડ શો કરશે. 9 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે, 12.10થી 12.30 ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી સંબોધન કરશે અને જોડાશે. આખા દિવસ અલગ અલગ કાર્યક્રમ રાખ્યા છે અને લોકો પણ આવવાના છે. એસ. જયશંકર પણ સેશનમાં જોડાશે. ઇન્જેક્શન ઓફ હેલ્થ મિશન અંગે તેઓ વાત કરશે. વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ દિલ્હી રોડ શોથી શરૂ થશે.
વધુમાં વાઘાણીએ કહ્યું કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યને 13 એવોર્ડ મળ્યા છે. 40 લાખથી વધુ વસ્તીમાં અમદાવાદ નંબર વન આવ્યું છે. નંબર 1 પર ઇન્દોર અને બીજા સ્થાને સુરત આવ્યું છે. ગુજરાત પાંચમા નંબરે હતું હવે ચોથા નંબરે આવ્યું છે.તો આદિજાતિ લોકો માટે 10 હજાર આવાસ મજૂર કરાયા છે.
ખેડૂતોને સ્માર્ટ ફોન આપવા અંગે ચર્ચા
ખેડૂતોને સ્માર્ટ ફોન આપવા બાબતે ચર્ચા થઈ છે. જેમાં ખેડૂતોની વધારે અરજીઓ આવશે તો ડ્રો કરવામાં આવશે. પડતર જમીનોના પ્રશ્નો બાબતે ચર્ચા થઈ છે. 9 લાખ 17 હજાર 220 ચો. મીટર સરકારી પડતર જમીન જાહેર હેતુ માટે ફાળવાઈ છે.
ગુજરાતમાં 10088 લોકો અવસાન પામ્યાઃ વાઘાણી
કોંગ્રેસ પર પ્રહાર કરતા વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસને જનતા પસંદ કરતી નથી. કોંગ્રેસના અઘોષિત રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતની ટીકા કરી છે. લોકોને ભયભીત કરવા, ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસનો લોકોને ગેરમાર્ગે દોરવાનુ કામ કરતી હોય છે. ગુજરાતમાં 10088 લોકો અવસાન પામ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યમાં આંકડા ચેક કરે. જેમાં મુખ્યત્વે કોરોનામાં મૃત્યુ સહાયની કામગીરીની ચર્ચા થશે.